
બાળકો ઘર નજીક ક્રિકેટ રમતા હતા. ક્રિકેટ રમવાને લઈ પિતાએ તેમને માર મારીને ધમકાવ્યા હતા. કારણ કે તેઓ ક્રિકેટ રમીને મોડા ઘરે પરત ફરવાને લઇ પિતાને ગુસ્સો ચડ્યો હતો. જોકે આ દરમિયાન પિતાએ તેમને ધમકાવવાને લઇ બંનેને લાગી આવ્યુ હતુ. બંને ભાઇઓ ઘરેથી કહ્યા વિના જ નિકળી પડ્યા હતા.
વાલીઓને માટે ચેતવણી રુપ કિસ્સાની આ કહાની દિલ્હીના બે માસૂમ બાળકોની છે, બંને સગાં ભાઇઓની ઉંમર જોઇએ તો એકની 9 વર્ષ અને બીજાની 13 વર્ષ છે. બંને દિલ્હીના મદનગીર વિસ્તારમાં રહે છે, જ્યાંથી બે કલાકની મુસાફરી કરીને તેઓ નિઝામુદ્દીન રેલવે સ્ટેશન પહોંચ્યા હતા અને જ્યાંથી તેઓ રેલવે મારફતે ફરતાં ફરતાં ગુજરાત પહોંચ્યા હતા.
બંને માસૂમ બાળકો દિલ્હીથી નિકળીને ટ્રેનમાં ઉદયપુર પહોંચ્યા હતા. જ્યા પ્લેટફોર્મ પર રાત વાસો વિતાવ્યા બાદ જયપુર લખેલી ટ્રેન જોઇને તેમાં બેસી ગયા પરંતુ આ ટ્રેન અમદાવાદ તરફ આવી રહી હતી. જેથી તે શામળાજી નજીક પહોંચી હતી. જ્યાં શામળાજી નજીક ટ્રેનમાં ગુજરાત રેલવે પોલીસના હિંમતનગર આઉટ પોસ્ટના કર્મચારીઓ ગજેન્દ્રસિંહ અને બિપીન ચંદ્ર તથા જ્યોતિકાબેન જ્યુડિયશીયલ ચેકિંગ હાથ ધરી રહ્યા હતા.
જેમાં તેમની નજર આ માસૂમ બાળકો પર પડતા તેમની પ્રાથમિક પૂછપરછ ચાલુ ટ્રેનમાં કરી હતી. તેમની આંખો ભરાઇ જતા જ તેમને મહિલા પોલીસ કર્મી સહિતની ટીમે પ્રેમથી વાતો શરુ કરી હતી અને તેમને હિંમતનગર રેલવે સ્ટેશન પર ઉતારીને ચા-નાસ્તો કરાવ્યો હતો. જ્યાં બંનેની વિગતો જાણીને ચાઈલ્ડ વેલ્ફેર કમિટિને સોંપ્યા હતા.
હિંમતનગર રેલવે આઉટ પોસ્ટના ઇન્ચાર્જ વિજય દેસાઇએ રેલવે પોલીસના એસપી બલરામ મીણા સહિત ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન સાથે બાળકોના પરિવારને શોધવાનો પ્રયાસ કરતા તેમના ગૂમ થવાને લઈ દિલ્હીના આંબેડકર પોલીસ સ્ટેશનમાં અપહરણ થયાની ફરિયાદ નોંધાઇ હોવાનું સામે આવ્યુ હતુ. પોલીસ તેના પિતાને લઇ હિંમતનગર આવવા માટે તૈયાર થઇ હતી. પરંતુ બાળકોએ પિતાના બદલે માતાનો આગ્રહ રાખ્યો હતો.
જેથી માતા સાથે મળવાના આગ્રહને પગલે હવે દિલ્હી સીટી પોલીસને આ અંગે જાણ કરતા પોલીસની ટીમ અને માતા હિંમતનગર પહોંચશે. જ્યાં બાળકોને માતા સાથે મિલન કરાવવામાં આવશે. આ માટે સીડબલ્યુસીએ આ અંગે કાર્યવાહી હાથ ધરી છે અને બાળકને મદદ કરવાનો પ્રયાસ કર્યો છે.
Published On - 7:35 pm, Tue, 27 February 24