સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાની મુલાકાતે શનિવારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhpuendra Patel) આવ્યા હતા. આ દરમિયાન તેઓએ ખેડબ્રહ્રામાં પાણીની યોજનાઓનુ લોકાર્પણ કર્યુ હતુ અને સાથે જ પીવાના પાણી સહિતની યોજનાઓના ખાતમુર્હત કર્યા હતા. તેઓએ વિસ્તારના લોકોને સંબોઘન કરતા કહ્યુ હતુ કે, પાણી ઉપરાંત પણ બીજા અનેક વિકાસના કામો આ વિસ્તારની જરુરિયાત પ્રમાણે તેમની સરકાર આપશે. તો વળી કાર્યક્રમમાં વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને અનુસૂચિત જાતીના રાજ્યના અગ્રીમ હરોળના આગેવાન અને નેતા રમણલાલ વોરા (Ramanlal Vora) ને પ્રજાની વચ્ચે બેસાડવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો હતો. તો વળી તેમનો હાવભાવ પણ કાર્યક્રમ અવ્યવસ્થાા પ્રત્યે નારાજગી દેખાઈ રહી હતી.
અરવલ્લી અને સાબરકાંઠા જીલ્લામાં પાણીની સમસ્યા ઉનાળા દરમિયાન ખૂબ જ વિકટ રહેતી હોય છે. જેને દૂર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા 134 કરોડ રુપિયાના ખર્ચે કરવામાં આવેલ પાણી આધારીત યોજના અને કાર્યોનુ મુખ્યપ્રધાને લોકાર્પણ કર્યુ હતુ. સાથે જ 400 કરોડના ખર્ચે વધુ અન્ય નવા કાર્યો અને યોજનાઓ પાણી માટેની અમલમાં મુકી હોઈ તેનુ ખાતમુર્હત કરવામાં આવ્યુ હતુ. મુખ્યપ્રધાને વિસ્તારના લોકોને પીવા પાણીની સમસ્યા દૂર થઈ જવાના આશ્વાસન સાથે સરકારની પાણી માટેની યોજનાઓને લઈને સૌને વાકેફ કર્યા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત આરોગ્ય પ્રધાન ઋષીકેશ પટેલે કાર્યક્રમના અંતે કહ્યુ હતુ કે, વિસ્તારમાં દરેક ઘરે પાણી મળે રહે એ દીશામાં સરકાર કામ કરી રહી છે. આ માટે જ યોજનાનુ લોકાર્પણ અને ખાતમુર્હત મુખ્યપ્રધાને કર્યુ છે. આદીવાસી વિસ્તારના લોકોને પીવા માટે શુદ્ધ પાણી મળી રહે તેવા કાર્યો પણ લોકાર્પણ કરવામા આવ્યા છે અને એ દિશામાં વધુ કાર્યો પણ આગામી દિવસોમાં કરવામા આવશે. આમ સરકાર પીવાના શુદ્ધ પાણી માટે કટીબદ્ધ હોવાનુ કહ્યુ હતુ.
કાર્યક્રમના આયોજનમાં અનેક પ્રકારે અવ્યવસ્થા સર્જાઈ હતી. જેનો ભોગ વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા પણ બન્યા હતા. રમણલાલ વોરા કાર્યક્રમના સ્થળે આવતા જ તેઓ સ્ટેજના પ્રવેશ દ્વારાથી સ્ટેજ તરફ પ્રવેશ કર્યો હતો. જોકે તેમને સ્ટેજના બદલે પબ્લીક વચ્ચે રાખેલ બેઠક વ્યવસ્થા તરફ જવા માટે કહ્યુ હતુ. રમણલાલ પણ શરુઆતમાં તો હસતા હસતા જ બેઠક વ્યવસ્થા તરફ ચાલ્યા ગયા હતા. તેમની સાથે અન્ય ભાજપના આગેવાનો પણ બેઠક વ્યવસ્થા સુધી પહોંચ્યા હતા અને જ્યાં બેસી ગયા હતા.
મુખ્યપ્રધાન આવ્યા હતા અને તેમની સાથે અન્ય પ્રધાનો અને આગેવાનો પણ સ્ટેજ પર આવીને ગોઠવાઈ ગયા હતા. પરંતુ રમણલાલ વોરાને શરુઆતમાં કોઈએ સ્ટેજ પર આવવા અને બેસવા માટે નિમંત્રણ આપ્યુ નહોતુ. પરંતુ બાદમાં આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલનુ ધ્યાન જતા તેઓએ તેમને સ્ટેજ પર આવવા માટે બોલાવ્યા હતા. જોકે આ સિવાય કોઈએ પણ ખાસ ભાવ આરોગ્ય મંત્રીની વાતમાં પૂરાવ્યો નહોતો. જેથી રમણલાલ પણ પોતાના સ્થાન પર બેસી રહેવાનુ પસંદ કરી વિવિક પૂર્ણ ના કહી દીધી હતી. જોકે ત્યાર બાદ વડીલ અને અનુસૂચિત જાતીના દિગ્ગજ આગેવાન હોવા છતાં કોઈએ તેમના માટે વિવેક નહી દાખવતા રમણલાલનો હાવભાવ લોકોને નારાજ જણાઈ રહ્યો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈને આ સમગ્ર સ્થિતી અનેક સવાલો સાથે ચર્ચાનો વિષય મળ્યો હતો. કારણ કે ભાજપમાં એક માસ પહેલા આવેલ દિગ્ગજ આદીવાસી નેતા અશ્વિન કોટવાલ સ્ટેજ પર હતા અને રમણલાલ વોરા નિચે બેઠા હતા. તો વળી સ્થાનિક અઘિકારીઓએ પણ મામલાને લઈ મૌન બનીને ઉભા રહી ગયા હતા. જોકે કાર્યક્રમના અંતે મુખ્યપ્રધાને તેમને હેલિકોપ્ટરમાં સાથે લઈને વાત પર પૂર્ણવિરામ મુકવા પ્રયાસ કર્યો હતો. અશ્વિન કોટવાલ આ વિસ્તારનો મજબૂત ચહેરો છે અને તે આદીવાસી સમાજ પર મજબૂત પકડ ધરાવે છે. વિસ્તારમાં તેની કામગીરી અને કાર્યપદ્ધતી ભાજપની નજરમાં ક્યારનીય વસી ગઈ હતી અને એટલે જ ગત માસે તેને ભાજપનો ખેસ પહેરાવી કેસરીયા કરાવ્યા હતા.
Published On - 6:54 pm, Sat, 4 June 22