રૂપાલાને પાટીદાર સમાજનું સમર્થન મળ્યુ તો કોંગ્રેસના નેતાઓએ સમાજને વિવાદથી દૂર રહેવાની આપી સલાહ – વાંચો કોણે શું કહ્યુ

પરશોત્તમ રૂપાલાના નિવેદનના રોષની આગ દિવસે દિવસે વધુ ઉગ્ર બની રહી છે. જો કે રૂપાલા માટે હવે થોડી રાહતની વાત એ છે કે પાટીદાર સમાજ તેમના સમર્થનમાં આવ્યો છે. સરદાર પટેલ ગૃપનું રૂપાલાને સમર્થન મળ્યુ છે. SPGના અધ્યક્ષ કલ્પેશ રાંકે કહ્યુ છે કે રૂપાલાએ બે વખત માફી માગી લીધી છતા વિરોધ યથાવત છે. તેમને હવે માફ કરી દેવા જોઈએ.

રૂપાલાને પાટીદાર સમાજનું સમર્થન મળ્યુ તો કોંગ્રેસના નેતાઓએ સમાજને વિવાદથી દૂર રહેવાની આપી સલાહ - વાંચો કોણે શું કહ્યુ
| Edited By: | Updated on: Apr 05, 2024 | 12:19 AM

પરશોત્તમ રૂપાલાના એક નિવેદનનો વિવાદ હજુ શમ્યો નથી અને ક્ષત્રિય સમાજ આકરા પાણી છે. રૂપાલાએ અત્યાર સુધીમાં તેમના નિવેદન માટે બેવાર માફી માગી ચુક્યા છે. તદઉપરાંત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પણ ક્ષત્રિય સમાજને રૂપાલાને મોટુ મન રાખી માફ કરી દેવા અપીલ કરી છે. પરંતુ ક્ષત્રિયો ટસના મસ થવા તૈયાર નથી અને રાજકોટથી રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ પર અડગ છે. જો કે તમામ ઘટનાક્રમ વચ્ચે રૂપાલાના બચાવમાં હવે પાટીદાર સમાજ આવ્યો છે. સરદાર પટેલ ગૃપના અધ્યક્ષ કલ્પેશ રાંકે રૂપાલા નિવેદન આપ્યુ છે કે રૂપાલાએ બે વખતા માફી માગી છતા વિરોધ થઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજનો રોષ હવે રાજકીય રંગ લઈ રહ્યો હોવાનુ લાગે છે. વધુમાં તેમણે ઉમેર્યુ કે રૂપાલાને તમામ રીતે સહયોગ આપી મદદ કરીશુ. રૂપાલાની ટિકિટ રદ ન થાય તેવા પ્રયાસ કરાશે.

આ તરફ રાજકોટના અંબિકા ટાઉનશીપ વિસ્તારના લોકો પણ રૂપાલાના સમર્થનમાં આવ્યા છે. અનેક સોસાયટીના રહીશો રૂપાલાના સમર્થનમાં આવ્યા છે અને રૂપાલાની ટિકિટ રદ ન થવી જોઈએ તેવી એકસૂરે માગ કરી રહ્યા છે. તેમણે જણાવ્યુ કે અમે નસીબદાર છીએ કે કેન્દ્રીય પ્રધાનનું નેતૃત્વ મળ્યુ છે.

લલિત વસોયાએ પાટીદાર સમાજને હાથો બનાવવાનો લગાવ્યો આરોપ

પાટીદારો રૂપાલાના બચાવમાં આગળ આવતા જ ગુજરાત કોંગ્રેસમા નેતાઓ પણ મેદાનમાં આવી ગયા છે. પોરબંદરથી લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા છે. વસોયાએ આરોપ લગાવ્યો કે ભાજપ હવે પાટીદાર સમાજને હાથો બનાવી બે સમાજ વચ્ચે ભેદ ઉભો કરવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપના લોકો રાજકીય રોટલા શેકવા પાટીદાર સમાજને આગળ કરે છે. વસોયાએ પાટીદારોને પણ અપીલ કરી વ્યક્તિગત લડાઈથી દૂર રહો. તેમણે આરોપ લગાવ્યો કે રૂપાલાના વાણી-વિલાસથી ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે.

પ્રતાપ દુધાતના ભાજપ પર આકરા પ્રહાર

આ તરફ સાવરકુંડલાથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે ભાજપ પર આકરા પ્રહાર કર્યા અને ભાજપ સામે સમાજ સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ઉભો કરવાનો આરોપ લગાવ્યો. દૂધાતે જણાવ્યુ કે ભાજપના નેતાઓ સમાજના નામે પોસ્ટ મુકવાનું બંધ કરે. સમાજને અંદરોઅંદર લડાવવાનું કામ ભાજપના નેતાઓ ન કરે. તેમણે જણાવ્યુ કે આ ભાજપની વ્યક્તિગત લડાઈ છે, તેમા સમાજને વચ્ચે ન લાવે. બંને સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય તેની તકેદારી રાખો. રૂપાલા વિવાદ પર સમાજનો કોઈ વ્યક્તિ નિવેદનબાજી ન કરે તેવી પણ પ્રતાપ દુધાતે અપીલ કરી છે.

ક્ષત્રિય સમાજના અગ્રણી જે પી જાડેજાએ ચીમકી ઉચ્ચારી છે કે જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજે રોડ પર ઉતરવુ પડશે. જો કોઈ સ્થિતિ વણસે તો તેની જવાબદારી સરકારની રહેશે. ક્ષત્રિય મહિલાઓ ઉપવાસ પર છે તેની જવાબદારી પણ સરકારની રહેશે. અમારી એક જ માગ છએ પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાએ અન્નનો ત્યાગ કર્યો છે અને રેલનગર ખાતે આવેલી ક્ષત્રિય સમાજની વાડીમાં ઉપવાસ પર બેઠા છે. રાજકોટ ક્ષત્રિય સમાજના વકીલો જિલ્લા પણ મેદાને આવ્યા છે. વકીલોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી. ક્ષત્રિય સમાજનું કહેવું છે કે, જો ક્ષત્રિય સમાજ અને ખાસ યુવાનોની ખોટી રીતે કનડગત કરશે તો તેઓ કાયદાકીય લડત આપશે.

આ પણ વાંચો : Breaking News: લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસે ગુજરાતની જુનાગઢ, સુરેન્દ્રનગર અને વડોદરા બેઠક પર આ ઉમેદવારોના નામની કરી જાહેરાત

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:07 am, Fri, 5 April 24

Follow Us
Loading...
Unable to load recommendations.