Rajkot: ઘરઘાટી જ નીકળ્યો વિશ્વાસઘાતી, બિલ્ડર પુત્રને બંધક બનાવી ચલાવી લાખોની લુંટ, જાણો સમગ્ર મામલો
રાજકોટના પોષ વિસ્તારમાં ફરી એકવાર લુંટની ઘટના સામે આવી છે. શહેરના યુનિવર્સિટી રોડ પર રોયલ પાર્કમાં બિલ્ડરના બંગલામાં તેમના જ ઘરઘાટીએ તેની પત્ની અને અન્ય એક શખ્સ સાથે મળીને લાખો રૂપિયાની લુંટ આચરી છે.
Rajkot: રાજકોટના પોષ વિસ્તારમાં ફરી એકવાર લુંટની ઘટના સામે આવી છે. શહેરના યુનિવર્સિટી રોડ પર રોયલ પાર્કમાં બિલ્ડરના બંગલામાં તેમના જ ઘરઘાટીએ તેની પત્ની અને અન્ય એક શખ્સ સાથે મળીને લાખો રૂપિયાની લુંટ આચરી છે. પોલીસે આરોપીઓને શોધવા વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે ઘરઘાટીઓ પર વિશ્વાસ મૂકી કામે રાખતા લોકો માટે પણ આ એક ચેતવણી રૂપ કિસ્સો છે.
શું છે સમગ્ર ઘટના?
યુનિવર્સિટી રોડ ઉપર આવેલા રોયલ પાર્કમાં બિલ્ડર પ્રભાત સિંઘવના ઘરે તેમના જ નેપાળી ઘરઘાટી અનિલએ તેની પત્ની અને અન્ય એક શખ્સ સાથે મળીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. બિલ્ડર પ્રભાત સિંધવનો 14 વર્ષીય પુત્ર ઘરે એકલો હતો તે દરમિયાન વહેલી સવારે 6:00 વાગ્યા બાદ લૂંટારુઓ ત્રાટક્યા હતા અને મકાન માલિકના પુત્ર ને બંધક બનાવી 10 લાખથી વધુની રોકડ અને દાગીના મળી 35 લાખથી વધુની લૂંટને અંજામ આપ્યો છે. પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
ઘરઘાટીઓ રાખતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો
મકાન માલિક પ્રભાત સિંધવ અને તેમનો પરિવાર અમદાવાદ ગયો હતો ત્યારે તેમનો 14 વર્ષીય પુત્ર અને તેના દાદા ઘરે રોકાયા હતા .વહેલી સવારે 6 થી 7 વાગ્યા વચ્ચે કિશોરના દાદા (મકાન માલિકના પિતા) ચા પીવા બહાર ગયા તે સમયે તેમનો પૌત્ર ઘરે એકલો તે દરમિયાન લૂંટારુઓએ એકલતાનો લાભ ઉઠાવી જશને બંધક બનાવી અને ચાકુ બતાવી સમગ્ર ઘટનાને અંજામ આપ્યો. 14 વર્ષીય જશ સિંધવના દાદા ઘરે આવ્યા ત્યારે લૂંટારુઓ ઘટનાને અંજામ આપી ફરાર થઈ ચૂક્યા હતા અને જશને બાંધેલી હાલતમાં જોયો હતો. ત્યાર બાદ તેઓએ પરિવારજનો અને પોલીસને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી.
દિવાળીના તહેવાર પર બહાર ફરવા જતા પહેલા પોલીસ વેરીફીકેશન કરાવજો
બીજી તરફ જોઈએ તો આ ઘટના ઘરઘાટીઓ અને ચોકીદારોને કામે રાખતા લોકો માટે ચેતવણી સમાન છે. Dcp સુધીર દેસાઈએ નિવેદનમાં જણાવ્યું કે વારંવાર અને ખાસ કરીને પોષ વિસ્તારમાં વ્યક્તિને કામે રાખો તો પોલીસ વેરીફિકેશન કરાવવું જરૂરી છે પરંતુ આ મકાન માલિકે આ ઘરઘાટીને માત્ર કોઈના રેફરન્સથી કામે રાખી લીધો હતો. કોઈપણ જાતના ડોક્યુમેન્ટસ પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યા ન હતા. દિવાળીનો તહેવાર પણ આવનારા દિવસોમાં આવી રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં લોકો બહાર ફરવા જતા હોય છે ત્યારે આ પ્રકારની વધુ ઘટનાઓ ન બને તે માટે કામે રાખેલા લોકોનું પોલીસ વેરિફિકેશન કરાવવું જરૂરી છે. જેથી ઘટનાઓ ન બને અને જો બને તો આરોપીઓ સુધી પોલીસને પહોંચવાનું સરળ રહે.