રાજકોટમાં થોડા દિવસ પહેલા ડેપ્યુટી કલેક્ટરે એક મહત્વનો ચુકાદો આપ્યો હતો. ખંઢેરી ગામમાં રહેતા રાઈબેન સોનારાને તેના પુત્ર એ છેલ્લા એક વર્ષથી તરછોડી દીધા હતા અને ત્યારબાદ રાઈબેને ડેપ્યુટી કલેકટરને અરજી કરી હતી. આ અરજીના આધારે ડેપ્યુટી કલેક્ટરે એક મહત્વનો ચુકાદો આપ્યો હતો. જેમાં તેના પુત્ર વિક્રમ સોનારાને વારસાઈ મિલકતમાં રહેલ મકાનને અને ખેતર તેની માતાને સોંપી દેવા કહ્યું હતું. જે અંગે આજે જવાબદાર અધિકારીઓની રૂબરૂમાં રાઈબેનને તેના પુત્રના કબજામાં રહેલ મકાન સોંપવામાં આવ્યું હતું.
રાઈબેને ડેપ્યુટી કલેકટરને કરેલી અરજીમાં કહ્યું હતું કે પોતે હવે ઉંમરલાયક છે અને તેનો પુત્ર તેને છેલ્લા એક વર્ષથી સાચવતો નથી. પરિવારની વારસાઈ મિલકત પણ તેના પુત્ર વિક્રમના નામે કરી દેવામાં આવી છે. જેના કારણે માતાએ ન છૂટકે તેની દીકરીઓને ત્યાં ભટકતું જીવન વિતાવવું પડી રહ્યું છે. હદ તો ત્યાં સુધી થઈ ગઈ કે માતાની આંખમાં મોતિયાનું ઓપરેશન પણ પુત્રએ ન કરાવી દીધું હતું.
આ બાબતે ડેપ્યુટી કલેકટર વિવેક ટાંક દ્વારા પહેલા સમાજ કલ્યાણ વિભાગને તપાસ સોંપી સમાધાનના પ્રયત્નો કરાવ્યા હતા. પરંતુ તેનો પુત્ર આ વાતથી સહમત થયો ન હતો. જે બાદ ડેપ્યુટી કલેકટરે તપાસ હાથ ધરી કેસ બોર્ડ પર લીધો હતો અને વરિષ્ઠ નાગરિક અને માતા-પિતાના કલ્યાણ અને ભરણપોષણ અધિનિયમ 2007 હેઠળ વારસાઈ મિલકત માતાને સોપવા અને દર મહિને ₹8,000 નું ભરણ પોષણ આપવાનો ચુકાદો આપ્યો હતો.
ડેપ્યુટી કલેકટરે જ્યારે આ ચુકાદો આપ્યો ત્યારે રાયબેનના પુત્ર વિક્રમ સોનારાએ માતાએ લગાવેલા આક્ષેપોને ફગાવ્યા હતા અને કહ્યું હતું કે માતાના ભરણ પોષણ માટે પહેલેથી જ તેમને લાખો રૂપિયા આપી દીધા છે પરંતુ માતાના ભત્રીજાઓ દ્વારા તેમને ગેરમાર્ગે દોરીને મિલકતો પચાવી પાડવાનો હેતુ હોવાનો દાવો કર્યો હતો. આ ચુકાદા સામે તેઓ કાયદાકીય લડત લડવાની પણ તૈયારી દર્શાવવી હતી.
Published On - 9:36 pm, Sat, 25 February 23