Rajkot : રાજ્યમાં કહંગી શાળામાં આ વર્ષે પણ 25 ટકા ફી માફીનો નિર્ણય સરકાર દ્વારા યથાવત રાખવામાં આવ્યો છે. એક બાજુ વાલીઓ કોરોનાને કારણે આવક ઘટી હોવાનું કહી ફીમાં 50 ટકા માફીની માંગણી કરી રહ્યાં છે, તો બીજી બાજુ ખાનગી શાળા સંચાલકો ૨૫ ટકા ફી માફીના નિર્ણયનો પણ વિરોધ કરી રહ્યાં છે. રાજકોટના ખાનગી શાળા સંચાલકોએ ચાલુ વર્ષે 25 ટકા ફી માફી સામે વિરોધ નોંધાવ્યો છે. ખાનગી શાળાના સંચાલકે કહ્યું કે કોરોના સમયમાં અપાર મુશ્કેલી સહન કરી છે.ગત વર્ષે 25થી 30 ટકા જેટલા વાલીઓએ ફી ભરી જ નથી.આ ઉપરાંત શિક્ષકોને બે વર્ષથી પગારવધારો પણ આપ્યો નથી.જેથી શાળા સંચાલકોએ ચાલુ વર્ષે ફીમાં 25 ટકા રાહત આપવાનો ઈનકાર કર્યો છે.
બે વર્ષથી મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છીએ : શાળા સંચાલકો
રાજ્યમાં સોમવારથી ધોરણ 9 થી 11નું પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થઇ રહ્યું છે ત્યારે ગત વર્ષની જેમ આ વર્ષે કોઇપણ પ્રકારની ફી માફી નહિ થાય તેવું સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે સ્પષ્ટ કરી દીધુ છે.
સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના ઉપપ્રમુખ જતીન ભરાડે Tv9 Gujarati સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે શાળા સંચાલકો છેલ્લા બે વર્ષથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગત વર્ષે સરકારની વિનંતીથી ફીમાં ઘટાડો કર્યો કર્યો હતો જો કે આ વર્ષે ફી ઘટાડો કરવો સંચાલકોને પોસાય તેમ નથી. ત્યારે રાજ્ય સરકારને ફી ઘટાડાને લઇને સ્પષ્ટતા કરી દેવામાં આવી છે.
જતીન ભરાડે વધુમાં જણાવ્યું હતુ કે રાજ્યમાં ખાનગી શાળાઓ સાથે 8 લાખથી વધારેનો ટીચીંગ અને નોન ટીચીંગ સ્ટાફ છે.જેઓને છેલ્લા બે વર્ષથી પગાર વધારો આપવામાં આવ્યો નથી જે આ વર્ષે આપવો જરૂરી છે જેથી આ વર્ષે ફી માફી થઇ શકે નહિ.
ગત વર્ષે પણ 25 થી 30 ટકા વાલીઓએ ફી ભરી નથી
સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના કહેવા પ્રમાણે ગત વર્ષે 25 ટકા ફી માફી હોવા છતા 25 થી 30 ટકા વાલીઓએ ફી ભરી નથી. કેટલાક વાલીઓએ કુલ ફીના 50 ટકાથી ઓછી ફી ભરી છે, ત્યારે આ વર્ષે ફી માફી આપી શકાય તેમ નથી. વધુમાં તેમણે કહ્યું હતુ કે ગત લોકડાઉનમાં ધંધા મોટાભાગના ધંધા રોજગાર બંધ હાલતમાં હતા જો કે સેકન્ડ વેવમાં મોટાભાગના ધંધા વ્યવસાય ચાલુ રહ્યા છે, ત્યારે જે સક્ષમ છે તેવા વાલીઓને ફી ભરવામાં કોઇ વાંધો હોઇ શકે નહિ.
કોરોનાથી પિડીત પરિવારને મદદ કરીશું : ડી.વી.મહેતા
રાજકોટ જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતાએ કહ્યું હતુ કે જે વિધાર્થીના માતા પિતા કોરોનામાં મૃત્યુ પામ્યા છે અથવા તો ઘરમાં કમાનાર સભ્ય ન હોય તેવા વિધાર્થીઓને સંપૂર્ણ ફી માફી આપવામાં આવશે.આ ઉપરાંત જે વ્યક્તિને આર્થિક મુશ્કેલી હોય તેવા વાલીઓની રજૂઆત સાંભળીને ફીમાં વળતર આપવામાં આવશે.