પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) રાજકોટ જિલ્લાના (Rajkot Latest News) આટકોટ ખાતે આગામી 28મી (28 મે 2022) તારીખના રોજ કે.ડી. પરવાડિયા મલ્ટીસ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલનું લોકાર્પણ કરવાના છે. આ કાર્યક્રમને લઇને તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જસદણ પંથક પછાત વિસ્તાર છે. ત્યારે 40 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી હોસ્પિટલ લોકો માટે આર્શિવાદરૂપ સાબિત થશે. 40 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ હોસ્પિટલમાં 200 બેડની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ સાથે જ ખ્યાતનામ તબીબો રાહત દરે લોકોની સારવાર કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ એરપોર્ટ પરથી આટકોટ ખાતે હેલિકોપ્ટરમાં આવશે. આ માટે ત્રણ જેટલા હેલિપેડ તૈયાર કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી આવતાની સાથે જ હોસ્પિટલની મુલાકાત લેશે જ્યાં તેઓ 20 મિનીટ સુધી હોસ્પિટલની વિવિધ સુવિધાઓની સમિક્ષા કરશે. ઓપરેશન થીયેટર સહિતની વ્યવસ્થાઓની મુલાકાત લેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જસદણના આટકોટ ગામે 40 કરોડના ખર્ચે નિર્માણ પામેલી પાટીદાર સમાજની 200 બેડની કે.ડી. પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. આ હોસ્પિટલમાં જનરલ વોર્ડમાં સારવાર મેળવી રહેલા દર્દી પાસેથી રોજનું 150 રૂપિયા ભાડુ જ વસુલાશે અને તેમાં ત્રણેય ટાઇમ ભોજન પણ આપવામાં આવશે.
હોસ્પિટલની અંદર ઓપીડી, સુપર સ્પેશિયાલિટી, રેડિયોલોજી, આઈસીસીયુ, ઓપરેશન થિયેટર, પેથોલોજી, ડાયાલિસિસ, એન્ડોસ્કોપી, ફિઝીયોથેરપી, એનઆઈસીયુ, પીઆઈસીયુ, કેથલેબ સહિતના આધુનિક વિભાગો કાર્યરત થશે. મા અને આયુષ્યમાન કાર્ડધારકોને વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે.
ફૂલટાઈમ ડોક્ટર તરીકે ગાયનેક, સર્જરી, ઓર્થોપેડિક, પીડિયાટ્રિક, મેડિસીન, રેડિયોલોજી, પેથોલોજી, ડેન્ટલ અને ફિઝિયોથેરેપી કાર્યરત રહેશે. જ્યારે વિઝિટીંગ સુપરસ્પેશિયાલિટી કન્સલ્ટન્ટ તરીકે નેફ્રોલોજી, કાર્ડિયોલોજી, ન્યુરોલોજી, ન્યુરો સર્જરી, રૂમેટોલોજી, યૂરોલોજી, ગેસ્ટ્રો સર્જરી, ઓન્ક્રોલોજી, ગેસ્ટ્રોલોજી, ક્રિટિકલ કેર સહિતના દરરોજ ત્રણ કલાક માટે ઉપસ્થિત રહેશે. એકંદરે કુલ 300 જેટલા તબીબી તેમજ નર્સિંગ સ્ટાફની ટીમ દર્દીઓની સારવાર માટે ખડેપગે રહેશે. હોસ્પિટલમાં 6 ઓપરેશન થિયેટરની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.
હોસ્પિટલના સ્વપ્નદૃષ્ટા અને ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાએ જણાવ્યું હતું કે, 40 કરોડના ખર્ચે નિર્માણ પામેલી આ હોસ્પિટલમાં દર્દી પ્રવેશ કરશે અને તેને દેશભરની નામાંકિત હોસ્પિટલમાં આવ્યાનો અહેસાસ થશે. જોકે અહીં સારવાર બાદ થનારો ખર્ચ અત્યંત પરવડે તેવો રાખવામાં આવ્યો છે. અન્ય હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી માટે દોઢ લાખ જેટલો ખર્ચ થાય છે ત્યારે અહીં માત્ર 40થી 60 હજારમાં જ એન્જીયોપ્લાસ્ટિ કરવામાં આવશે. આ ઉપરાંત ક્રિટિકલ કેરમાં દાખલ દર્દી પાસેથી 250, જનરલ વોર્ડમાં સારવાર મેળવી રહેલા દર્દી પાસેથી 150 રૂપિયાનો જ ચાર્જ વસૂલવામાં આવશે.
આટકોટમાં નિર્માણ પામેલી આ હોસ્પિટલમાં રેડિયોલોજી, પેથોલોજી સહિતના ડિપાર્ટમેન્ટ માટે 14 કરોડથી વધુની કિંમતના મશીન એવા છે જે બહારથી મંગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત બેડશીટથી લઈને વેન્ટીલેટર સહિતની ક્વોલિટી સાથે જરાપણ બાંધછોડ કરવામાં આવી નથી.
ગાયનેક તથા ઓબ્સ: ડો. ભાર્ગવ પટેલ, ડો. રાહુલ સિંહાર, ડો. પંકજ કોટડિયા
સર્જરી: ડો. જતીન બેલડીયા, ડો. દિપક રામાણી, ડો. સોમેશ કટેશિયા
ઓર્થોપેડિક: ડો. કૃણાલ મીસ્ત્રી, ડો. નરશી વેકરિયા, ડો. વિજય સરધારા
પીડિયાટ્રીક: ડો. મિતુલ કળથિયા
મેડિસીન: ડો. સાગર પટોળીયા
રેડીયોલોજી: ડો. આકાશ પંચાણી
પેથોલોજી: ડો. અનિલ સાવલિયા
ડેન્ટલ: ડો. અંકિતા પીસેજિયા
સહિત કુલ 35 ફુલટાઇમ તબીબ, 39 સુપર સ્પેશિયાલિસ્ટ તબીબ વિઝીટર અને 195 નર્સિંગ પેરા મેડિકલ સ્ટાફ રહેશે ઉપસ્થિત.
ડો. ભરત બોઘરાએ વધુમાં જણાવ્યું હતું કે, આટકોટમાં જ હોસ્પિટલ બનાવવા પાછળનો હેતુ એવો છે કે જ્યારે હું ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે આટકોટમાં એક યુવાનનું હેમરેજ થઈ ગયું હતું. આથી તેને રાજકોટ ખસેડવો પડે તેવી સ્થિતિ નિર્માણ પામતાં રાજકોટની હોસ્પિટલમાં પહોંચતા અને દાખલ થવા સુધીમાં બે કલાક જેટલો સમય લાગી જતાં દર્દીનું મોત થતાં મને ત્યારે જ આટકોટમાં એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરવાનો વિચાર આવ્યો હતો જે હવે વાસ્તવિક રીતે પરિપૂર્ણ થયો છે.
હોસ્પિટલને મળી રહેલા દાનની આખી સિસ્ટમ પારદર્શી રાખવામાં આવી છે. આ માટે એક સોફ્ટવેર વિકસાવાયો છે જેના આધારે જ સંપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે. કોઈપણ દાતા હોસ્પિટલને દાન આપે એટલે આ સોફ્ટવેરમાં તેની એન્ટ્રી થઈ જાય છે અને તેમાં દરેક પ્રકારનો હિસાબ-કિતાબ પણ રહે છે. હાલ હોસ્પિટલમાં બેડની ક્ષમતા 200ની છે. જેમાં વધારો કરી 400 બેડ કરવામાં આવશે. આ ઉપરાંત અહીં જ મેડિકલ કોલેજનું પણ નિર્માણ થનાર હોવાથી સૌરાષ્ટ્રમાં બહુ ટૂંકા સમયમાં બબ્બે મેડિકલ કોલેજ કાર્યરત થઈ જશે.