Rajkot: શહેરમાં યોજાતો જન્માષ્ટમીનો લોકમેળો રદ થવાની સંભાવના છે. જોકે આ મામલે સત્તાવાર જાહેરાત બાકી છે. શ્રાવણ માસમાં જન્માષ્ટમીના તહેવાર પર રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં યોજાતો પરંપરાગત લોકમેળોને કોરોનાનું ગ્રહણ લાગી શકે છે.સતત બીજા વર્ષે કોરોનાની ત્રીજી લહેરની આશંકાને પગલે આ લોકમેળા રદ્દ થવાની શક્યતા છે.રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે લોકમેળો યોજાય છે પરંતુ કોરોનાની ત્રીજી લહેરની આશંકાને પગલે આ મેળો રદ્દ થઇ શકે છે.આ અંગે જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી.
રાજકોટ જિલ્લાના અધિક કલેક્ટર કેતન ઠક્કરના કહેવા પ્રમાણે રાજકોટમાં લોકમેળો યોજવો કે નહિ તે અંગે હજુ સુધી કોઇ સ્પષ્ટ થયું નથી,આ અંગે જિલ્લા કલેક્ટરના અઘ્યક્ષસ્થાને બેઠક મળશે જે બાદ આ અંગે નિર્ણય લેવામાં આવશે..
જિલ્લા વહીવટી તંત્ર દ્રારા હજુ સુધી નથી શરૂ કરાઇ તૈયારીઓ
સામાન્ય રીતે લોકમેળો હોય ત્યારે જિલ્લા કલેક્ટર તંત્ર દ્રારા રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓ શરૂ કરવામાં આવતી હોય છે.દર વર્ષે લોકમેળાના નામથી લઇને ખાણીપીણીના પ્લોટ્સ,આઇસ્ક્રિમના પ્લોટ,રમકડાંના પ્લોટ અને રાઇડ્સ માટેના પ્લોટની ફાળવણીના પ્રક્રિયા હાથ ધરાતી હોય છે.પ્લોટના ભાવ તેના ડ્રો સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે પરંતુ જિલ્લા વહિવટી તંત્ર દ્રારા હજુ સુધી કોઇ પ્રક્રીય હાથ ધરવામાં આવી નથી જેથી મેળાઓ યોજાવાની શક્યતાઓ નહિવત છે.
લાખોની સંખ્યામાં એકઠા થાય છે લોકો
લોકમેળામાં લાખોની સંખ્યામાં લોકો એકઠા થતા હોય છે.શ્રાવણ માસની છઠ્ઠથી શરૂ થયેલો લોકમેળો નોમ સુધી ચાલે છે આ દરમિયાન 10 લાખથી વધુ લોકો મેળામાં આવે છે.આ વર્ષે કોરોનાની થર્ડવેવની આશંકા છે તેને જોતા જો મેળો યોજાય તો સોશિયલ ડિસટન્સ ન જળવાય અને આટલી જનમેદનીને કારણે ત્રીજી લહેરને આમંત્રણ પણ મળે.
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં યોજાય છે લોકમેળા
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જામનગર,ગોંડલ,પોરબંદર સહિત અનેક વિસ્તારોમાં નાના મોટાં લોકમેળાઓ યોજાય છે.લોકમેળાની સાથે સાથે એક મહિના કે 15 દિવસ સુધી ખાનગી મેળાઓ પણ યોજાય છે.જો કે રાજકોટની સાથે સાથે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ સતત બીજા વર્ષે મેળો નહિ યોજાય.
Published On - 6:13 pm, Tue, 20 July 21