Jetpur: કોરોનાના કારણે એક જ પરિવારના 4 સભ્યોનું મોત, આખરી સભ્ય પણ સારવાર હેઠળ
Jetpur: કોરોનાની બીજી લહેર દેશમાં હાહાકાર મચાવી રહી છે, રોજ હજારો લોકોના મોત થઈ રહ્યા છે, તેવામાં ગુજરાતના જેતપુરમાં (Jetpur) એક જ પરિવારના ચાર સભ્યોના કોરોનાને કારણે મોત થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે.
Jetpur: કોરોનાની બીજી લહેર દેશમાં હાહાકાર મચાવી રહી છે, રોજ હજારો લોકોના મોત થઈ રહ્યા છે, તેવામાં ગુજરાતના જેતપુરમાં (Jetpur) એક જ પરિવારના ચાર સભ્યોના કોરોનાને કારણે મોત થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે. જેતપુરના જેતલસર ગામે બાવાજી પરીવારના ઘરના મોભી, માતા-પિતા અને પુત્ર એમ ચાર સભ્યોનું માત્ર ત્રણ દિવસના અંતરમાં કોરોનાના કારણે મોત થતાં ઘરનો આખો માળો વેરવિખેર થઈ ગયો. પાંચ સભ્યોના પરિવારમાં બાકી રહેલ મહિલા સભ્ય પણ સારવાર હેઠળ છે.
જેતલસર ગામે રહેતા રાજેશભાઈ પરસોત્તમભાઈ અગ્રાવતને ચારેક દિવસ પૂર્વે તબીયત નરમ લાગતા તેઓએ જેતલસર આરોગ્ય કેન્દ્ર ખાતે પોતાનો અને પુત્રનો આરટીપીસીઆર (RT PCR) રિપોર્ટ કરાવતા બંનેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેમ છતાંય તબિયત નરમ હોવાથી ઘરે દવા ચાલુ રાખી હતી. તેમાં 19 તારીખે રાજેશભાઈની તબીયત લથડતા તેઓને સારવાર માટે જૂનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા ત્યાં માત્ર ત્રણથી ચાર કલાક વેન્ટીલેટર પર સારવાર બાદ હોસ્પિટલ તંત્રએ તેમને મૃત જાહેર કર્યા.
બીજી બાજુ ઘરના બીજા સભ્યોની તબિયત પણ બગડતી જતી હોવાથી રાજેશભાઈની પુત્રીએ પોરબંદર સાસરેથી આવીને દાદા પરસોત્તમભાઈ, દાદી મંગળાબેન, માતા રમાબેન અને ભાઈ ઓમને પોરબંદર લઈ જઈ ત્યાં (હોમ આઇસોલોટ) ઘરે સારવાર ચાલુ કરી હતી. તેમાં 21 તારીખના રોજ ઓમની તબીયત લથડતા તેને તરત જ હોસ્પીટલે લઈ જતા ત્યાં થોડીવારની સારવાર બાદ તેનું પણ મોત થતાં બાકીના પરિવારજનો પર આભ ફાટી પડ્યું.
પુત્ર અને પૌત્રના એકાએક મોતથી ભાંગી પડેલ પરસોત્તમભાઈ અને મંગળાબેન પણ ગતરોજ તબીયત લથડી હતી. અગ્રાવત પરિવારને ત્યાં યમરાજે ધામા નાખ્યાં હોય તેમ મંગળાબેનની તબીયત લથડી અને હજુ સારવાર મળે તે પેલા જ તેમનું પ્રાણપંખેરૂ ઉડી ગયું અને ત્યારબાદ દોઢ કલાકના અંતરમાં જ પરસોત્તમભાઈનું પણ મોત થતાં કોરોનાએ અગ્રાવત પરીવારનો આખો માળો વિખી નાખ્યો હતો. સાસુ સસરા,પતિ અને પુત્રના મોતથી ભાંગી પડેલ રમાબેન પણ હાલ સારવાર હેઠળ છે.
હાલમાં કોરોનાને કારણે ગુજરાતમાં પરિસ્થિતી ગંભીર બની છે, હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની અછતથી લોકોના મોટા પ્રમાણમાં મોત થઈ રહ્યા છે. જો કે કંપનીઓ ઓક્સિજનનું ઉત્પાદન વધારવાના ક્ષેત્રે કાર્ય કરી રહી છે. હાલના સમયમાં માસ્ક પહેરવુ અને સોશિયલ ડિસ્ટંસ જાળવવું જ હિતાવહ છે.
આ પણ વાંચો: Corona Virus: પાકિસ્તાનથી પરત ફરેલા 200 શીખ શ્રધ્ધાળુઓ કોરોનાથી સંક્રમિત