Breaking News : રાજકોટ લોધિકા સંઘ ચૂંટણી બાદ ભાજપમાં આંતરિક જૂથવાદ, વિજેતા વિજય સખિયાનો અલ્પેશ ઢોલરિયા પર પલટવાર, જુઓ Video

રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી બાદ ભાજપમાં આંતરિક રાજકીય વિવાદ વકર્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ વિજેતા વિજય સખિયાને "બળવાખોર" ગણાવતા મામલો ચર્ચામાં આવ્યો.

Breaking News : રાજકોટ લોધિકા સંઘ ચૂંટણી બાદ ભાજપમાં આંતરિક જૂથવાદ, વિજેતા વિજય સખિયાનો અલ્પેશ ઢોલરિયા પર પલટવાર, જુઓ Video
| Edited By: | Updated on: Sep 10, 2026 | 3:00 PM

રાજકોટ લોધિકા સંઘની તાજેતરની ચૂંટણીના પરિણામો બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) માં આંતરિક રાજકીય જૂથવાદ ખુલ્લેઆમ સપાટી પર આવ્યો છે. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ ચૂંટણીમાં વિજેતા બનેલા ઉમેદવાર વિજય સખિયાને “બળવાખોર” ગણાવ્યા. ઢોલરિયાના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી હતી, અને ત્યારબાદ વિજય સખિયાએ મીડિયા સમક્ષ આવીને આ આક્ષેપોનો સણસણતો જવાબ આપ્યો હતો.

વિજય સખિયાને ફોર્મ ભરવા માટે બોલાવવામાં આવ્યા!

વિજય સખિયાએ અલ્પેશ ઢોલરિયા સામે અનેક ગંભીર પ્રહારો કર્યા હતા. તેમણે સવાલ ઉઠાવ્યો કે, જો તેઓ ભાજપના સભ્ય ન હોય અથવા બળવાખોર હોય તો તેમને પાર્ટી કાર્યાલયમાં શા માટે બોલાવવામાં આવ્યા હતા. વિજય સખિયાએ ભારપૂર્વક જણાવ્યું કે, તેમને ફોર્મ ભરવા માટે બોલાવવામાં આવ્યા હતા અને તે સમયે કોઈને પણ બળવાખોર ગણાવવામાં આવ્યા ન હતા. તેમણે પોતાને ૨૦૧૬થી ભાજપના સક્રિય સભ્ય તરીકે ઓળખાવ્યા અને દાવો કર્યો કે, તેઓ પડધરી તાલુકા ભાજપના પ્રભારી પણ રહી ચૂક્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, તેમને પણ પાર્ટી તરફથી મેન્ડેટ આપવામાં આવ્યું હતું, તેમ છતાં તેમને અન્યાય થયો.

સખિયાએ આરોપ લગાવ્યો કે, અલ્પેશ ઢોલરિયા પોતાના માનીતા ઉમેદવારોને સાચવી રહ્યા છે અને પક્ષના હિતોને અવગણી રહ્યા છે. તેમણે કહ્યું કે, “પાર્ટી મનેય વિપ આપ્યું હતું, હું સક્રિય સભ્યો છું 2016થી. તાલુકા ભાજપ પ્રમુખ પ્રભારી હતો પડધરી. એ એમને ખ્યાલ નથી ભાઈને.” તેમણે અલ્પેશ ઢોલરિયા અને જિલ્લા ભાજપના પ્રભારી ભરત આર્ય પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે, આ બંને નેતાઓ જિલ્લામાં પક્ષને જોડવાને બદલે તોડવાનું કામ કરી રહ્યા છે. સખિયાએ તો ત્યાં સુધી કહ્યું કે, આવા જિલ્લા ભાજપ પ્રમુખને બદલવા જોઈએ જેથી કરીને પાર્ટીનું સંગઠન મજબૂત બની શકે.

સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ પ્રથા અંગે પણ વિજય સખિયાએ પોતાનો મંતવ્ય સ્પષ્ટ કર્યો હતો. તેમણે કહ્યું કે, “મેન્ડેટ પ્રથા સહકારી ક્ષેત્રમાં હોય નો જોઈ. આમ છતાંય મેન્ડેટ પ્રક્રિયા રાખે છે.” આ નિવેદન દ્વારા તેમણે સહકારી સંસ્થાઓમાં રાજકીય હસ્તક્ષેપ સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો.

જયેશ રાદડિયા સાથેના સંબંધો વિશે પૂછવામાં આવતા, સખિયાએ સ્પષ્ટતા કરી કે, જયેશભાઈ સાથે તેમના પારિવારિક સંબંધો છે અને આ ચૂંટણીમાં તેમની કોઈ જ ભૂમિકા ન હતી. તેમણે કહ્યું કે, “જયેશભાઈની નજીક તો અમે કાયમી અમે ફેમિલી અમારા સંબંધ છે જયેશભાઈ રે અને એની આ ચૂંટણીમાં એની કાંઈ ભૂમિકા હતી નહીં.” આ નિવેદન દ્વારા તેમણે એવી અટકળોને રદિયો આપ્યો કે તેઓ રાદડિયા જૂથના હોવાને કારણે આ વિવાદ થયો છે.

સમગ્ર ઘટનાક્રમ દર્શાવે છે કે, રાજકોટ ભાજપમાં આંતરિક ખેંચતાણ ચરમસીમા પર છે. વિજય સખિયાના ગંભીર આક્ષેપોથી પક્ષના જિલ્લા સંગઠનમાં રહેલી ખામીઓ અને જૂથવાદ વધુ સ્પષ્ટ બન્યા છે. આ મામલે પ્રદેશ ભાજપ નેતૃત્વ શું પગલાં લે છે તે જોવું રહ્યું, પરંતુ લોધિકા સંઘ ચૂંટણીએ રાજકોટ ભાજપમાં ચાલતા આંતરિક ઘમાસાણને જાહેરમાં લાવી દીધું છે.

જેલની ચાર દીવાલોમાંથી નીકળી અદભુત કળા, કેદીઓએ બનાવી ગણેશજીની મૂર્તિઓ

Follow Us
Loading...
Unable to load recommendations.