રાજકોટના જૂના માર્કેટયાર્ડમાં ભેળસેળ થતી હોવાના મુદ્દે આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. માર્કેટયાર્ડ સ્થિત સોનિયા ટ્રેડીગ પેઢીમાં તેલ અને ઘીમાં મિશ્રણ (oil-ghee adulteration) થતું હોવાની વિગતો સામે આવી છે.
સનફ્લાવરના નામે પામોલીન તેલ, અમૂલનું ડુપ્લીકેટ ઘીનો વેપલો
બજારમાંથી આપ છુટક અમૂલનું ઘી અને સનફલાવર તેલ ખરીદતા હોય તો ચેતી જજો. કારણ કે રાજકોટના આરોગ્ય વિભાગે જુના માર્કેટીંગ યાર્ડમાં આવેલી સોનિયા ટ્રેડિંગમાંથી અમૂલ ઘી અને સનફલાવર તેલનો ડુપ્લીકેટ જથ્થો ઝડપી પાડ્યો છે.આરોગ્ય વિભાગની તપાસમાં સનફલાવર તેલના 395 ડબ્બા જ્યારે અમૂલ ઘીના 20 ડબ્બા પકડી પાડ્યા છે. ભેળસેળયુક્ત જથ્થાની માહિતી મળતા ફુડ અને ડ્રગ્સ વિભાગ અને અમૂલના અધિકારીઓએ તપાસમાં જોડાયા છે. અને તમામ મુદ્દામાલ સીઝ કરીને તેલ અને ઘીના નમૂના લીધા છે.
FSL રિપોર્ટ બાદ થશે કાર્યવાહી
આરોગ્ય વિભાગની કાર્યવાહી દરમિયાન ભેળસેળ સામે આવતા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી અને અમૂલના અધિકારીએ પણ તપાસમાં જોડાયા છે.અમૂલના અધિકારી સંદિપભાઇએ સોનીયા ટ્રેડિંગમાંથી મળેલો ઘીનો જથ્થો અમૂલના બેચ સાથે મળતો ન હોવાનો અને ડુપ્લીકેટ હોવાનું જણાવ્યું છે. જ્યારે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ ગાંધીનગરના સિનીયર ઓફિસર કે આર પટેલની તપાસમાં પામોલીન તેલમાં સનફલાવર તેલનું લેબલ મારતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
આ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામ નમૂનાઓને લઇને એફએસએલમાં મોકલવામાં આવશે. અને તેના રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે તેવું ફુડ એન્ડ ડ્રગ્સના અધિકારીએ જણાવ્યું છે.
ભેળસેળની વાત ખોટી-વેપારીનો બચાવ
જોકે આ સમગ્ર મામલે દુકાનના માલિક પિયુષ સોમનાણીએ પોતાનો બચાવ કર્યો હતો. સનફલાવર તેલમાં ભેળસેળ અંગે પોતાનો બચાવ કરતા કહ્યું હતું કે પામોલીન તેલના લેબલ ખલાસ થઇ ગયા હોવાને કારણે સનફલાવર તેલના લેબલ લગાડવામાં આવ્યા હતા. જ્યારે અમૂલ ઘીના ડબ્બા ઉઘરાણીના બદલે આવ્યા હોવાનો બચાવ કર્યો હતો.
લોકો અમૂલ નામથી ખરીદી કરતા હોય છે. જ્યારે સ્વાસ્થ્યને ઘ્યાનમાં રાખીને સનફ્લાવર ઓઇલની ખરીદી કરતા હોય છે. ત્યારે કેટલાક લેભાગુ તત્વો છે જેઓ નફો કમાવવા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરતા હોય છે.આ કિસ્સામાં પોલીસે તમામ જથ્થાને સીઝ કર્યો છે.
પરંતુ આ શખ્સો કેટલા સમયથી આ પ્રકારનો ગોરખઘંધો કરતા હતા,આ પેઢી મારફતે કોને કોને જથ્થો પહોંચાડવામાં આવ્યો છે તે દિશામાં આરોગ્યની ટીમે તપાસ શરૂ કરી છે.જો કે જ્યારે રિપોર્ટ આવશે ત્યારબાદ જ આ પેઢી સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Sputnik vaccine: અમદાવાદમાં પણ લઈ શકાશે રશિયાની સ્પૂતનિક વેક્સિન
Published On - 3:22 pm, Mon, 5 July 21