પ્રદેશ ભાજપનું સંગઠન હોય કે શહેર સંગઠનનું માળખું હોય જ્યારે પણ કોઇ હોદ્દેદારની હકાલપટ્ટી કરવાની હોય તો તેને રાતોરાત છુટ્ટા કરી દેવામાં આવે છે. રાજકોટમાં પણ કંઇક આવું જ થયું છે. છેલ્લા 30 વર્ષથી અલગ અલગ સંગઠનમાં હોદ્દો ધરાવતા હરેશ જોષીને શહેર ભાજપ કાર્યાલય મંત્રીના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. 7 ઓક્ટોબરે નિયત સમય પ્રમાણે હરેશ જોષી પોતાનું કામ પૂર્ણ કરતાની સાથે જ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી અને ત્રણેય મહામંત્રીઓ દ્રારા તેઓને છુટ્ટા કરવામાં આવ્યા હોવાનો આદેશ કરી દેવામાં આવ્યો છે. આ હોદ્દા પર નવા કાર્યાલય મંત્રી તરીકે હિતેષ ઢોલરિયાની નિમણૂક કરી દેવામાં આવી છે.
રાજકોટમાં છેલ્લી બે ટર્મથી હરેશ જોષી કાર્યલય મંત્રી તરીકે જોડાયેલા છે. કાર્યાલયમાં થતી દરેક કામગીરીથી તેઓ સારી રીતે વાકેફ છે.દરેક બાબતોની ફરિયાદો અને અધિકારીઓને સૂચનાઓ ભાજપ કાર્યલયથી જતી હોય છે ત્યારે હરેશ જોષીને દૂર કરવા પાછળ શું કારણ છે તે મોટો સવાલ છે.એવી પણ ચર્ચા છે કે હરેશ જોષી સામે ભૂતકાળમાં કેટલીક ફરિયાદો મળી હતી ત્યારે આ ફરિયાદોને આધારે પણ આ કાર્યવાહી થતી હોય તેવી ચર્ચાઓ છે. હરેશ જોષી પત્રકારો સાથે પણ સંપર્ક ધરાવે છે ત્યારે અવારનવાર કાર્યાલયની વાતો બહાર જતી હોવાનો આક્ષેપ પણ હરેશ જોષી સામે થઇ રહ્યો હતો. ચર્ચાઓ અનેક છે પરંતુ ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી છે ત્યારે કારણ શું છે તે બહાર આવવાની શક્યતા ખૂબ જ ઓછી છે.
હરેશ જોષીને દુર કરવા અંગે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ કહ્યું હતું કે કાર્યલય મંત્રી બદલાનો નિર્ણય વ્યવસ્થાનો એક ભાગ છે. કોઇ વિવાદ નથી. વ્યવસ્થાના ભાગરૂપે કાર્યકર્તાઓના હોદ્દા બદલાતા રહેતા હોય છે. થોડા સમય પહેલા પ્રદેશના કાર્યાલય મંત્રી પણ બદલાયા હતા. તેવી જ રીતે રાજકોટના કાર્યાલય મંત્રી બદલાયા છે. નવા કાર્યલય મંત્રી તરીકે હિતેશ ઢોલરીયાને તાત્કાલિક અસરથી નિમણૂક આપી દેવામાં આવી છે.
હરેશ જોષી છેલ્લા 30 વર્ષથી ભાજપમાં સક્રિય રીતે જોડાયેલા છે. હરેશ જોષી પહેલા ભાજપની મીડિયા ટીમ સાથે જોડાયેલા હતા. બાદમાં તેઓ હિસાબનીશ તરીકે જોડાયા હતા. હરેશ જોષીએ મહાનગરપાલિકાના કાર્યાલય મંત્રી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને છેલ્લી બે ટર્મથી તેઓ ભાજપના કાર્યાલય મંત્રી તરીકે જોડાયેલા હતા.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 12:37 pm, Tue, 8 October 24