
રાજકોટમાં પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવને કારણે સામાન્ય જનજીવન પર મોંઘવારીનો વ્યાપક માર પડી રહ્યો છે. ખાસ કરીને શાકભાજીના ભાવમાં અસાધારણ ઉછાળો નોંધાયો છે. આ પરિસ્થિતિ પાછળ ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વૈશ્વિક અસર અને સ્થાનિક સ્તરે ડીઝલની અછત મુખ્ય કારણભૂત મનાય છે.
ડીઝલના ભાવ વધારાને લીધે પરિવહન ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે, રાજકોટ બહારથી આવતા શાકભાજીના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. અગાઉ 30 થી 40 રૂપિયા પ્રતિ કિલો વેચાતા ટામેટાના ભાવ હાલમાં 60 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. ગવાર, જે અગાઉ 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતો હતો, તે હવે 80 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યો છે. આદુના ભાવ પણ 60 થી 70 રૂપિયાથી વધીને 100 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. લીંબુના ભાવ 200 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 250 થી 300 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યા છે. કોથમીરના ભાવ પણ 50-60 રૂપિયાથી બમણા થઈને 100 રૂપિયા સુધી પહોંચી ગયા છે. દૂરના વિસ્તારોમાંથી આવતા અન્ય શાકભાજીમાં પણ 10-20 રૂપિયાનો વધારો નોંધાયો છે.
આ ભાવ વધારાની બીજી મુખ્ય અસર ખેડૂતો પર પડી રહી છે. ખેડૂતોને ખેતી માટે અને તૈયાર પાકને માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચાડવા માટે પૂરતા પ્રમાણમાં ડીઝલ ઉપલબ્ધ નથી. ડીઝલની અછતને કારણે ટ્રેક્ટર અને અન્ય વાહનો દ્વારા શાકભાજીને સમયસર બજાર સુધી લઈ જઈ શકાતા નથી. આના પરિણામે, ખેતરોમાં તૈયાર થયેલો પાક બજાર સુધી પહોંચતા પહેલા જ સડી રહ્યો છે, જેનાથી ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, લાઈનમાં ઊભા રહ્યા પછી પણ તેમને માંડ ૫ લિટર ડીઝલ મળે છે, જે ગામડેથી આવવા-જવામાં જ વપરાઈ જાય છે. ખાતરની ઉપલબ્ધતામાં પણ સમસ્યાઓ છે, જેમાં વીઘે ૧-૨ થેલી જ મળે છે અને તેની પણ લાંબી કતારો તેમજ ભાવ વધારો જોવા મળે છે.
ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે. તેમની મુખ્ય માંગણીઓમાં ખેડૂતો માટે ડીઝલની વૈકલ્પિક વ્યવસ્થા કરવી, કૃષિ અને શાકભાજીના પરિવહન માટે ખાસ સુવિધાઓ ઊભી કરવી, જેથી પાક સડી ન જાય અને બજારમાં શાકભાજીનો પુરવઠો જળવાઈ રહે. જૂનાગઢ રોડ અને ધોરાજી જેવા વિસ્તારોમાં ડીઝલની ભારે અછત હોવાનું પણ ખેડૂતોએ જણાવ્યું છે. એક ખેડૂતે ઉલ્લેખ કર્યો કે ફક્ત ત્રણ વાળા પાસેના પંપ પર જ ડીઝલ મળે છે, જ્યાં તેઓ 1000 રૂપિયાનું ડીઝલ ભરાવે છે, જ્યારે સામાન્ય પંપ પર ૫૦૦ રૂપિયાનું જ ડીઝલ મળે છે. આ સંકટને પહોંચી વળવા અને ખેડૂતો તેમજ સામાન્ય ગ્રાહકોને રાહત આપવા માટે તાત્કાલિક પગલાં લેવા અત્યંત આવશ્યક છે.
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video