RAJKOT : ધોરાજી પંથકમાં ઉનાળાની શરૂઆતમાં ચેકડેમ અને નદી નાળાઓમાં પાણી ખાલીખમ થઈ ગયા છે. ચેકડેમ અને નદીના પાણી આધારિત ઉનાળુ પાકને પિયત આપતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતોનું કહેવું છેકે સરકાર દ્વારા જળસંચય અભિયાનની જે જાહેરાતો કરવામાં આવે છે જે પોકળ સાબિત થઈ રહી છે. અને, ઉનાળાના પ્રારંભે ધોરાજીના ચેકડેમ તળિયા ઝાટક થઈ ગયા છે.
ધોરાજી પંથકના અન્ન દાતા પર જાણે કુદરત રૂઠી હોઈ એવું લાગી રહ્યું છે. આમ ધોરાજી પંથકના ખેડૂતોએ પહેલા માનવસર્જિત આફત જેવી કે લોકડાઉન અને બાદમાં ચોમાસું પાક પર અતિવૃષ્ટિ અને બાદમાં માવઠું સહિ ની આકાશી આફતોનું સામનો કરી ચૂકેલા ખેડૂતો હવે ઉનાળુ પાક માટે પિયતના પાણીને લઈ અને ચિંતિત બન્યા છે. ધોરાજીના તમામ ચેકડેમો ખાલીખમ થઈ ચૂક્યા છે.અને, ઉનાળુ પાકનું વાવેતર કરતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.
આમ તો સરકાર જળસંચય અભિયાન અંતર્ગત ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે. અને જળ સંચય અભિયાન માટે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતુ આ અભિયાનનું ધોરાજીમાં સપનું રોળાઈ રહ્યું છે. ધોરાજી અને આસપાસના વિસ્તારના તમામ ચેક ડેમો ખાલી ખમ થઈ ગયા છે. અને ખેડૂતોને ઉનાળુ પાકના પિયત માટે ચિંતામાં વધારો થયો છે.
આમ તો ધોરાજી પંથકના ખેડૂતો ઉનાળુ પાકમાં મગફળી, અડદ, જુવાર અને મકાઈ સહિત પશુ માટે ઘાસચારાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરે છે. પરંતુ આ વર્ષે તમામ ચેકડેમ ખાલીખમ હોવાને કારણે અંદાજિત 200 હેકટરમાં ઉનાળુ વાવેતર કરતા પહેલા ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે. ખેડૂતોનું કહેવું છે કે ધોરાજી પંથકના જળાશયોમાં હાલ પુષ્કળ પ્રમાણમાં પાણી ઉપલબ્ધ છે. ધોરાજીના ભાદર-૨ અને ધોરાજીના ફોફર ડેમમા પણ પાણીનો પુષ્કળ પ્રમાણમાં જથ્થો છે. જેથી બંને જળાશયોમાંથી કેનાલ મારફતે અથવા કોઈ પણ પ્રકારની સિંચાઇ યોજના આધારે ખાલી પડેલ ચેકડેમ પાણીથી ભરી આપવામાં આવે તો ખેડૂતોને ઉનાળુ પાકના પિયતનો પ્રશ્ન હલ થઈ શકે એમ છે.
ગત વર્ષે સારા વરસાદને કારણે ધોરાજી પંથકના જળાશયો અનેકવાર ઓવરફલો થયા હતા. અને, હજુ પણ ધોરાજી ના ભાદર-૨ અને ફોફર ડેમમાં હાલ પુષ્કળ પ્રમાણમાં પાણીનો જથ્થો છે. જેનાથી ચેકડેમ ભરવામાં આવે તો ખેડૂતોના ઉનાળુ પિયતનો પ્રશ્ન હલ થઇ શકે એમ છે.