Rajkot : છત્તીસગઢ રાજ્યના બીજપુરમાં અર્ધલશ્કરી દળો અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણમાં અર્ધલશ્કરી દળના 22 જવાનો શહિદ થયા હતા અને 30 વધુ જવાનો ઘાયલ થયા હતા જેને લઈને જેતપુર ( Jetpur ) માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ( ABVP ) દ્વારા એક શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શહીદ થયેલ જવાનો પ્રત્યે કૃતજ્ઞતા દાખવતા શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મહિલા પુરુષો અને વૃદ્ધો પણ જોડાયા
આ કાર્યક્રમમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો સાથે મહિલાઓ, પરુષો અને વૃદ્ધો પણ જોડાયા હતા જેમાં તેઓ એ માંગ કરી હતી કે દેશમાંથી નક્સલવાદ અને આતંકવાદનો સફાયો કરવામાં આવે. આપને જણાવી આપીએ કે 3 એપ્રિલના રોજ છત્તીસગઢ રાજ્યના બીજપુરમાં થયેલ નક્સલી હુમલામાં શહીદ થયેલા જવાનોને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દેશના ગૃહમંત્રી અમીત શાહ, દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સહિતના મહાનુભાવો દ્વારા આ નક્સલી હુમલાને વખોડવામાં આવ્યો હતો તેમજ શહીદ જવાનોને શ્રદ્ધાંજલી પાઠવામાં આવી હતી.
ગુમ થયેલા કોબ્રા કમાન્ડોનો પહેલો ફોટો સામે આવ્યો
શનિવારે નક્સલવાદીઓ સાથે અથડામણ થયા બાદ ગુમ થયેલા કોબ્રા કમાન્ડર રાકેશ્વર સિંહનો પહેલો ફોટો સામે આવ્યો છે. નકસલવાદીઓએ આ તસવીર જાતે બીજપુરના પત્રકાર ગણેશ મિશ્રાને મોકલી છે. નક્સલવાદીઓએ પત્રકારને ફોન કરીને કમાન્ડોની સલામતી સાથે તેમણે છોડવાની શરતો અંગે જણાવ્યું હતું.
એક ખાનગી સમાચાર સંસ્થા સાથે ઓનલાઈન વાતચીતમાં ખુદ પત્રકાર ગણેશ મિશ્રાએ તેની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું કે બુધવારે સવારે તેમને નક્સલવાદીઓનો ફોન આવ્યો હતો. નકસલવાદીઓએ તેમને કહ્યું કે રાકેશ્વરસિંહ તેમના કબજામાં સલામત છે. નક્સલવાદીઓએ પુરાવા માટે તેમને રાકેશ્વરસિંહની તસવીર પણ મોકલી હતી જેમાં તેઓ તેમના છાવણીમાં બેઠા જોવા મળે છે. ગુમ થયા પછી રાકેશ્વરસિંહનો આ પહેલો ફોટો છે. નક્સલવાદીઓએ ગણેશ મિશ્રાને કહ્યું હતું કે સરકાર મધ્યસ્થીઓને તેમની સાથે વાટાઘાટ કરવા મોકલે છે, તો જ કમાન્ડોને મુક્ત કરવામાં આવશે.
નક્સલીઓએ સોમવારે દાવો કર્યો હતો કે ગુમ થયેલ જવાન તેમના કબજામાં છે. આ પછી તેમણે ફરીથી મંગળવારે એક પ્રેસ નોટ જારી કરીને આ જ દાવો કર્યો હતો. હવે તેમણે કમાન્ડોનો પહેલો ફોટો મોકલ્યો છે. પ્રેસ નોટમાં, નક્સલવાદીઓએ સરકારને કમાન્ડોની છૂટા થતાં પહેલા મધ્યસ્થીની નિમણૂક કરવાની માંગ કરી હતી. તેમણે બુધવારે પત્રકારને બોલાવીને આ માંગને પુનરાવર્તિત કરી હતી.
Published On - 4:28 pm, Wed, 7 April 21