રાજ્ય સરકાર દ્વારા આઈ વે પ્રોજેક્ટ ગુનાખોરી અટકાવવા માટે લગાડવામાં આવ્યા છે, પરંતુ આ સીસીટીવી ઈ મેમો માટે હોય તેવો માહોલ જોવા મળ્યો છે. રાજકોટ (Rajkot)માં ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક વોર્ડનની ભુલનો ભોગ નિર્દોષ નગરવાસીઓ બની રહ્યા છે, હવે આ મુદ્દે રાજકોટના બે વકીલોએ સરકાર સામે બાંયો ચડાવી છે અને આઈ વે પ્રોજેક્ટનો ખોટી રીતે ભોગ બનેલા લોકોની વ્હારે આવ્યા છે.
સરકાર દ્વારા આઈ વે પ્રોજેક્ટ ગુનાખોરી અટકાવવા માટે લગાડવામાં આવ્યા છે, પરંતુ આ સીસીટીવી ઈ મેમો માટે હોય તેવો માહોલ જોવા મળ્યો છે. રાજકોટમાં ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક વોર્ડનની ભુલનો ભોગ નિર્દોષ નગરવાસીઓ બની રહ્યા છે, હવે આ મુદ્દે રાજકોટના બે વકીલોએ સરકાર સામે બાંયો ચડાવી છે અને આઈ વે પ્રોજેક્ટનો ખોટી રીતે ભોગ બનેલા લોકોના વ્હારે આવ્યા છે. રાજકોટમાં ટ્રાફિક મેમો પ્રજા માટે માથાનો દુખાવો બની ગઈ છે અને એટલે સુધી માથાનો દુખાવો બની છે કે હવે આ મેમોની લડાઈમાં રાજકોટના બે વકીલો સરકાર સામે મેદાને પડ્યા છે.
સિગ્નલ બંધ હોવા છતાં સાઈડ ખોલી નાખવામાં આવે છે
આઈ વે પ્રોજેક્ટનો ઉદ્દેશ શહેરમાં ગુનાખોરી અને ટ્રાફિકના નિયંત્રણ માટે હતો, પરંતુ હવે આ ટ્રાફિકના દંડ પૂરતો સિમીત થયો હોય તેવો ઘાટ ઘડાયો છે અને ટૂંકાગાળામાં રાજકોટનાં ઈ મેમો મારફતે 100 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે. જો કે આ ઈ મેમો સામે લોકોને કેટલાક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. રાજકોટમાં એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં ફરજ પરના હાજર પોલીસ દ્વારા સિગ્નલ બંધ હોવા છતાં વાહનચાલકોની સાઇડ ખોલી નાખવામાં આવે છે જેના કારણે કંટ્રોલ રૂમમાં બેસેલ વ્યક્તિ ઈ મેમો ફટકારે છે, સવાલ એ છે હવે આમાં નિર્દોષ વ્યક્તિનો શું વાંક? કેટલાક કિસ્સાઓમાં ટ્રાફિક ખુલ્લો હોય અને અડધે પહોંચતા સિગ્નલ બંધ થઈ જાય છે, ત્યારે ટ્રાફિક મેમો ફટકારે છે.
નાગરિકોની વ્હારે શહેરના બે વકીલો
લોકોને આઈ વે પ્રોજેક્ટથી થતી કનગડત થતાં લોકોની વ્હારે બે વકીલો આવ્યા છે, આ વકીલો સરકાર સામે લોકોને ખોટી રીતે મોકલાતા મેમોની કોર્ટમાં ફરિયાદ કરશે. આ માટે આ વકીલોએ હેલ્પલાઈન પણ જાહેર કરી છે જેના આધારે આ વકીલો પહેલા ટ્રાફિક કોર્ટમાં અને ત્યારબાદ હાઈકોર્ટ સુધી લડત કરવા તૈયાર છે. મહત્વનું છે કે કોરોનાકાળમાં લોકોના વેપાર ધંધા પર અસર પડી છે તેમાં પણ નવા ટ્રાફિકના કાયદાઓને કારણે તગડો દંડ સામાન્ય માણસની કમર તોડી રહ્યો છે. હવે આ મામલો ટૂંક સમયમાં કોર્ટમાં પહોંચી રહ્યો છે, ત્યારે ટ્રાફિક પોલીસ અને આઈ વે પ્રોજેક્ટના કન્ટ્રોલર દ્વારા સંકલન કરીને લોકોને ખોટા મેમોનું ભોગ ન બનવું પડે તેની તકેદારી રાખવી જરૂરી છે.
આ પણ વાંચો: ખૈબર પખ્તુનખ્વા મંદિર તોડી પાડવા મુદ્દે UNમાં ભારતે પાકિસ્તાનની કાઢી ઝાટકણી