Rajkot : બોગસ સોફટવેર દ્વારા સસ્તા અનાજના કૌભાંડનો કેસમાં તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા છે. તપાસમાં સામે આવ્યું છેકે ચેકીંગમાં પકડી ન શકાય તે માટે સોફ્ટવેરનું નામ બદલવામાં આવ્યું છે. આ માટે સોફ્ટવેરનું નામ ઢીંગલી રાખવામાં આવ્યું હતું. સોફ્ટવેરનો ઉપયોગ કરી 100 થી વધુ વેપારીઓ સરકારી અનાજ બરોબાર વેંચતા હોવાનો ખુલાસો થયો છે.
સાબરકાંઠાથી રાજકોટ સુધી કૌભાંડના તાર લંબાયેલા
સાબરકાંઠામાંથી પકડાયેલા રાજ્યવ્યાપી સરકારી રાશન પચાવી પાડવાના કૌંભાડના તાર રાજકોટ સુધી પહોંચ્યા છે.અમદાવાદ પોલીસ દ્રારા રાજકોટ જિલ્લા કલેક્ટરને રિપોર્ટ આપ્યા બાદ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ પુરવઠા વિભાગને તપાસ સોંપી હતી.પુરવઠા વિભાગની તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા જેમાં કૌંભાડકારોએ કોઇને શંકા ન જાય તે માટે આ સોફ્ટવેરનું નામ ઢીંગલી રાખ્યું હતુ.ઢીંગલી નામથી આ કૌંભાડકારો વાતચીત કરતા હતા જેથી કોઇપણને શંકા ન જાય.
5 દુકાનદારના લાયસન્સ રદ્દ,100થી વધુને ત્યાં તપાસ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્રારા રિપોર્ટ આપ્યા બાદ જિલ્લા કલેક્ટરે સોંપેલી તપાસમાં 5 દુકાનદારોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.જેમાં 4 લાયસન્સ રાજકોટ જિલ્લાના જસદણના દુકાનદારો છે. જ્યારે એક લાયસન્સ રાજકોટ શહેરની સસ્તા અનાજની દુકાનદારનું છે.આ ઉપરાંત 100 જેટલા દુકાનદારોને ત્યાં તપાસ સોંપવામાં આવી છે. જેમાં પુરવઠાની ટીમ દ્વારા દુકાનદારનો હિસાબ ત્યાં રહેલું લેપટોપ,અનાજના જથ્થાને હિસાબ અંગેની ચકાસણી કરવામાં આવશે.
આ રીતે ચાલતુ હતું કૌંભાડ
પુરવઠા વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે ટેક્નોલોજીની મદદથી આ કૌંભાડ ચાલતું હતુ.આ કૌંભાડમાં સસ્તા અનાજના દુકાનદાર દ્રારા ખાસ સોફ્ટવેરની મદદથી ગ્રાહકોના ફિંગરપ્રિન્ટ કોપી કરી લેવામાં આવતા હતા અને જ્યારે દુકાનદાર રાશન ખરીદી કરવા માટે ન આવે ત્યારે તેના ફિંગરપ્રિન્ટનો દુરપયોગ કરીને અનાજનો જથ્થો બારોબાર પચાવી પાડવામાં આવતો હતો.આ અંગેની શંકા જતા ફરિયાદ કરવામાં આવી હતી અને ફરિયાદના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી હતી અને આખા કૌંભાડનો પર્દાફાશ થયો હતો.
Published On - 10:12 am, Mon, 6 September 21