પોરબંદરમાં (Porbandar) વિપક્ષ અને સ્થાનિકોના વિરોધ બાદ પાલિકા જાગી છે અને લમ્પીગ્ર્સ્ત ગાય (Lumpy Virus) મોતને ભેટી હોય તે ગાયના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે જાવર ગામ નજીકના સમુદ્ર કિનારા પર પાલિકાએ ગાયોના (Cow) મૃતદેહ રઝળતા મૂકી દેતા યુથ કોંગ્રેસે આ બાબતનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને પાલિકાની પોલ ખોલી હતી. ત્યારબાદ પાલિકાએ ગાયોના મૃતદેહ માટે અલગ ખાડા કરી તેના નિકાલની કામગીરી હાથ ધરી છે. બીજી તરફ યુથ કોંગ્રેસે (Congress) મૃત ગાયોની અંતિમવિધિ માટે વડાપ્રધાનને પત્ર લખ્યો હતો અને જણાવ્યું હતું કે પોરબંદર પાલિકા બે ત્રણ દિવસમાં પોતાનું વલણ સ્પષ્ટ નહીં કરે તે આગામી દિવસોમાં યુથ કોંગ્રેસ ઉગ્ર કાર્યક્રમો કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
આ અંગે ચીફ ઓફિસર મનન ચતુર્વેદીએ કહ્યું, મૃતદેહો અલગ કરી દફનવિધિ કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે, જોકે હજી પણ શહેરમાં પડેલા ગાયના મૃતદેહો શહેરમાં રોગચાળાને આમંત્રણ આપી રહ્યા છે. રાજ્યભરમાં લમ્પી વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. લમ્પી વાયરસને કારણે અસંખ્ય પશુઓના ટપોટપ મોત થઈ રહ્યા છે. ત્યારે આવી સ્થિતિ વચ્ચે પોરબંદરમાં વિચલિત કરતા કેટલાક દ્રશ્યો સામે આવ્યા હતા. લમ્પીના કહેર વચ્ચે છાંયા નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે.
પાલિકા દ્વારા પશુના મૃતદેહના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરાતા કુછડી નજીક દરિયાકાંઠે અસંખ્ય ગાયોના (Cow) મૃતદેહ ખુલ્લામાં ફેંકી દેવામાં આવ્યા છે. ત્યારે નગરપાલિકાએ યોગ્ય વ્યવસ્થાન ન કરતા ખુલ્લામાં પશુઓના મૃતદેહ રઝળી રહ્યા છે તો બીજી તરફ પાલિકાની બેદરકારીને ઉજાગર કરવા કોંગ્રેસના કાર્યકરો જાવર વિસ્તારની મુલાકાતે પહોંચ્યાં હતા અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જોયું કે જાવર વિસ્તારમાં ખુલ્લામાં ગાયોના મૃતદેહ ફેંકી દેવામાં આવ્યા છે. આ જોઈને કોંગ્રેસના કાર્યકરોએ હિન્દુ વિધિ પ્રમાણે ગાયોની અંતિમવિધી કરવામાં આવે તેવી માંગણી કરી હતી.
ગુજરાતમાં લમ્પી વાયરસનો (Lumpy Virus) ફેલાવો વધી રહ્યો છે. જેમાં રાજ્યના 20 જિલ્લામાં 65 હજાર પશુ લમ્પીગ્રસ્ત થયા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) તાજેતરમાં લમ્પી વાયરસથી વધુ અસર ગ્રસ્ત એવા જામનગર જિલ્લાની ગત રોજ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાના પદાધિકારીઓ તથા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી લમ્પી સ્કિન ડીસીઝની સ્થિતિ અંગે સર્વગ્રાહી સમીક્ષા કરી. જેમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે સઘન સારવારના પરિણામે જિલ્લામાં 1,609 પશુઓ લમ્પીમુક્ત થયા. હાલ 3,692 પશુઓ સારવાર હેઠળ છે. તેમજ જિલ્લામાં કુલ 1,10, 456 પશુઓનું રસીકરણ કરાયું છે. જેમાં જિલ્લામાં 95 ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ થઈ છે.