વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)આજે એટલે કે 28 મે, શનિવારે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ત્યારે પીએમ મોદી આટકોટમાં (Atkot)મલ્ટિ સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું છે. આ પ્રસંગે વડાપ્રધાને આયુષ્માન ભારત યોજના (Ayushman Bharat Yojana)અને જન ઔષધી કેન્દ્ર વિશે જણાવતા કહ્યું હતું કે, આયુષ્યમાન યોજના હેઠળ 50 કરોડ લોકોને 5 લાખ રૂપિયાની સહાય કરવામાં આવી છે. આ કોઈ નાની સંખ્યા નથી.
આ દુનિયાના ઘણા વિકસિત દેશોની કુલ વસ્તી કરતાં પણ વધુ છે. આ હોસ્પિટલમાં પણ આયુષ્માન કાર્ડનું સુવિધા ઉપલબ્ધ કરાવાઇ છે જેથી તમામ ગરીબ લોકોને મફતમાં સારવાર મળી રહેશે. જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં આયુષ્માન ભારત યોજનાનો પ્રારંભ કરાવ્યો છે. ત્યારે આયુષ્માન ભારત યોજના શું છે? અને તમને આનાથી કેવી રીતે ફાયદો થશે તે જાણવું ખુબ જ જરૂરી છે.
સરકારની નેશનલ હેલ્થ અથોરીટી(NHA)ની વેબસાઈટ મુજબ, આ દુનિયાની સૌથી મોટી હેલ્થ ઇન્શ્યોરન્સ યોજના છે. એમાં 10.74 કરોડથી વધુ ગરીબ પરિવાર(લગભગ 50 કરોડ લાભાર્થીઓ)ને 5 લાખ રૂપિયા પ્રતિ પરિવાર વાર્ષિક હેલ્થ કવર મળે છે. અન્ય બીજી બીમારી સાથે, આયુષ્માન ભારત હેલ્થ ઇન્શ્યોરન્સ સ્કીમ કોવિડ-19 પણ કવર હોય છે. NHAની વેબસાઈટ મુજબ, સ્કીમમાં સામેલ કોઈ પણ ખાનગી હોસ્પિટલમાં કોરોના ટેસ્ટિંગ અને ઈલાજ ફ્રીમાં કરાવી શકાય છે. આ ઇન્શ્યોરન્સ યોજના હેઠળ ખાનગી હોસ્પિટલમાં ક્વોરેન્ટાઇન ખર્ચ પણ કવર થશે.
આયુષ્યમાન ભારત યોજના મોદી સરકારની મહત્ત્વાકાંક્ષી યોજના છે. જેને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) કહેવાય છે. કેન્દ્ર સરકારનો હંમેશાં દાવો રહ્યો છે કે આયુષ્યમાન ભારત- PMJAY એ માત્ર દેશની નહીં, પરંતુ વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના છે. ડિસેમ્બર 2018માં રાંચીથી આ યોજના લૉન્ચ કરવામાં આવી હતી. પરંતુ તે અગાઉ ઑગસ્ટમાં જ ટ્રાયલ દરમિયાન હરિયાણાના કરનાલમાં આ યોજના હેઠળ જન્મેલી બાળકી ‘કરિશ્મા’ને આ યોજનાની પ્રથમ લાભાર્થી ગણવામાં આવે છે.
આ યોજનાના લાભાર્થીઓને સામાજિક અને આર્થિક સ્થિતિના આધારે નક્કી કરવામાં આવે છે. તેના માટે 2011માં થયેલી સામાજિક અને આર્થિક વસતી ગણતરીને માપદંડ નક્કી કરવામાં આવી છે. 2020ની શરૂઆતના મહિનાઓમાં ભારતમાં કોરોના રોગચાળો ફેલાઈ રહ્યો હતો ત્યારે કેન્દ્ર સરકારે કોવિડ-19ના દર્દીઓની સારવાર પણ આયુષ્યમાન યોજના હેઠળ કરાવવાની જાહેરાત કરી હતી.
નાગરિકોને ગુણવત્તાયુક્ત દવાઓ 50 થી 90 ટકા વાજબી ભાવે ઉપલબ્ધ કરાવવા જન ઔષધી કેન્દ્ર અત્યંત મહત્વપૂર્ણ કેન્દ્ર બન્યા છે. જે દવા એક સમયે 2 હજાર રૂપિયામાં મળતી હતી તે આજે જન ઔષધી કેન્દ્રના કારણે 100 રૂપિયામાં મળે છે. જન ઔષધી કેન્દ્રમાં બજારના અન્ય મેડિકલ સ્ટોર કરતા સસ્તી અને ઉત્તમ કક્ષાની દવા મળતી હોય છે નાગરિકોને ગુણવત્તાયુક્ત દવાઓ ૫૦ થી ૯૦ ટકા વાજબી ભાવે ઉપલબ્ધ કરાવવાના સ્વપ્નને સાકાર કરવા જન ઔષધી કેન્દ્રનું મોટું યોગદાન રહ્યું છે. જન ઔષધી કેન્દ્ર સામાન્ય લોકોને ઓછી કિંમતે દવા પૂરી પાડવા માટે શરૂ કરાયેલી યોજના છે.
ગરીબી રેખા તેમજ મધ્યમ વર્ગીય કુટુંબમાં આર્થિક ભારણ દવા ખરીદીનું આવતું હોય છે જેને લઇ આ વર્ગના કુટુંબોનું બજેટ ખોરવાઈ જતું હોય છે ત્યારે ગરીબી રેખાની નીચે તેમજ મધ્યમ વર્ગીય પરિવારની દવા બાબતની મજબૂરી સમજી અને જાણીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેફામ ભાવ થકી લૂંટ ચલાવતી દવાની કંપની ઉપર લગામ લગાવવાના હેતુથી જન ઔષધી પરિયોજના શરુ કરી છે. જેમાં જન ઔષધી મેડિકલ સ્ટોર સમગ્ર ભારતમાં શરૂ કરવામાં આવ્યા છે.