5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day) તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ખૂબ ઓછા લોકો જાણે છે કે ગુજરાતમાં (Gujarat) શહેરોથી દૂર ઘણા એવા સ્થળો આવેલા છે જે ઇકો ફ્રેન્ડલી (Eco friendly) છે. કોરોનાના કારણે હાલ તો સમગ્ર દેશની સાથે જ ગુજરાતમાં પણ ટુરિઝમને લગતી પ્રવૃતિઓ ઠપ્પ પડી હતી, જો કે હવે કોરોનાના કેસો ઓછા હોવાને કારણે પ્રવાસન સ્થળો પર ભીડ જોવા મળી રહી છે. આજે અમે તમને પંચમહાલ (Panchmahal) જિલ્લાના કેટલાક એવા સ્થળો વિશે વાત કરીશું, જ્યાં તમે જીવનની ભાગદોડથી દૂર શાંતિનો અનુભવ કરી શકો છો.
ગુજરાતમાં પાવાગઢ નજીક આવેલા ચાંપાનેરથી 26 કિ.મી દૂર જાંબુઘોડા આવેલુ છે. જાંબુઘોડા આવતા પહેલાં જ રોડની બંને બાજુ ગાઢ જંગલો શરુ થઇ જાય છે. આ જંગલો ‘જાંબુઘોડા અભયારણ્ય’ તરીકે ઓળખાય છે. આ અભયારણ્ય વિસ્તારમાં જ એક નદી પર કડા ડેમ બાંધેલો છે અને એક જગ્યાએ હનુમાનજી વસેલા છે. જાંબુઘોડાથી આગળ જતો મુખ્ય રસ્તો બોડેલી તરફ જાય છે.
જાંબુઘોડા અભયારણ્યમાં દીપડો, રીંછ, શિયાળ, વરુ, હરણ વગેરે પ્રાણીઓનો વસવાટ છે. અહીં સાપ અને પાયથોન પણ જોવા મળી જાય છે. આ જંગલમાં મુખ્યત્વે ટીક, મહુડો અને વાંસનાં ઝાડ છે. કડા ડેમ જાંબુઘોડાથી ફક્ત 3 કી.મી. દૂર છે. સરોવરની બધી બાજુ જંગલો જ જંગલો છે. જાંબુઘોડા અભયારણ્યમાં રાત્રિરોકાણ કરવું હોય તો કોટેજ અને ટેન્ટની વ્યવસ્થા છે. અહીં હાથણી માતા વોટરફોલ, હનુમાન વગેરે જોવાલાયક જગ્યા છે.
પંચમહાલ જિલ્લામાં રતનમહાલના જંગલો આવેલા છે. આ જગ્યા અમદાવાદથી 210 કિલોમીટર દૂર છે. ગોધરાથી દેવગઢ બારિયા થઇને ત્યાં જઇ શકાય છે. અહીં રીંછ અભ્યારણ્ય આવેલું છે. રતનમહાલ એ એક વન્ય પ્રાણીઓના રહેઠાણની જગ્યા છે. અહીંના મુલાકાતીઓ વન્ય પ્રાણી અને વનસ્પતિક ખજાનો જોઈને આનંદિત થઈ જાય છે. પાનમ નદી એ અભયારણ્યની ખૂબસૂરતીમાં ખૂબ જ અગત્યની ભૂમિકા અદા કરે છે.
પાનમ નદીનું ઉદ્ગમ સ્થાન પણ રતનમહાલ જ છે. મિશ્ર પ્રકારનું જંગલ ધરાવતા આ અભયારણ્યમાં મહુડો, સાદડ, ટીમરુ, સાગ, દૂધલો, કેસૂડાં, આમળા, વાંસ, કાકડિયો વગેરે ઉપરાંત અન્ય ઘણી જાતો જોવા મળે છે. ગુજરાત રાજ્યમાં જવલ્લે જ જોવા મળતી ઊડતી ખિસકોલી પણ અહીંયાં સામાન્ય રીતે જોવા મળે છે.