Shankaracharya Controversy : નકલી શંકરાચાર્ય વિવાદ વચ્ચે પુરીના શંકરાચાર્યનો આકરો પ્રહાર, જુઓ Video

પુરીના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીજીએ નકલી શંકરાચાર્ય મુદ્દે આકરા પ્રહારો કર્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ધર્મ અને અધ્યાત્મનું જ્ઞાન ન ધરાવતી વ્યક્તિ શંકરાચાર્ય બની ન શકે.

Shankaracharya Controversy : નકલી શંકરાચાર્ય વિવાદ વચ્ચે પુરીના શંકરાચાર્યનો આકરો પ્રહાર, જુઓ Video
| Edited By: | Updated on: Mar 07, 2026 | 7:55 PM

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના પાંચ ખોબલા ખાતે આવેલા પુરાતન શિવ મંદિરના જીર્ણોદ્ધાર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન પુરીના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીજીએ શંકરાચાર્ય પદને લઈને ચાલી રહેલા વિવાદ પર કડક નિવેદન આપ્યું. તાજેતરમાં વિવિધ અખાડાઓ દ્વારા નવા શંકરાચાર્યોની જાહેરાત કરવામાં આવતા સંત સમાજમાં ચર્ચા અને વિવાદ ઊભો થયો છે.

આ મુદ્દે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીજીએ કહ્યું કે, જે વ્યક્તિના જીવનમાં ધર્મ અને અધ્યાત્મનું સાચું જ્ઞાન સ્થાપિત નથી, તે નકલી શંકરાચાર્ય બનીને સમાજ માટે કોઈ સકારાત્મક કાર્ય કરી શકતો નથી.

શંકરાચાર્ય પદની પણ નિશ્ચિત પરંપરા અને માન્યતા

તેમણે વધુમાં જણાવ્યું કે શંકરાચાર્યનું પદ માત્ર નામ કે ઘોષણા દ્વારા મળતું નથી, પરંતુ તેની માટે શાસ્ત્રોક્ત પરંપરા, આધ્યાત્મિક જ્ઞાન અને યોગ્યતા જરૂરી છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે જેમ ભારતમાં એક જ વડાપ્રધાન હોય છે, તેમ જ શંકરાચાર્ય પદની પણ નિશ્ચિત પરંપરા અને માન્યતા હોય છે. જો કોઈ વ્યક્તિ પોતાને વડાપ્રધાન જાહેર કરી દે, તો તેને માન્યતા મળતી નથી. એ જ રીતે શંકરાચાર્ય પદની પણ એક સીમા અને પરંપરા છે.

સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીજીએ તીખી ટિપ્પણી કરતાં કહ્યું કે “દૂધ પીવાના અને રક્ત આપવા વાળાઓ વચ્ચે મોટો ફરક હોય છે.” તેમણે જણાવ્યું કે જે લોકો માત્ર નામ માટે શંકરાચાર્ય બની રહ્યા છે, તેઓને આધ્યાત્મિક જ્ઞાન અંગે સામાન્ય પ્રશ્નો પૂછવામાં આવે તો તેઓ તરત જ મુશ્કેલીમાં પડી જશે.

પાંચ ખોબલા ખાતે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન તેમના આ નિવેદનોથી સંત સમાજ અને ધાર્મિક વર્તુળોમાં ફરીથી ચર્ચા તેજ બની છે. શંકરાચાર્ય પદની પરંપરા, અધિકાર અને તેની વૈધાનિકતા અંગે હવે વધુ ચર્ચાઓ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

ભારત અને ન્યુઝીલેન્ડની અમદાવાદમાં જોરદાર પ્રેક્ટિસ, જુઓ Video