
પંચમહાલમાં કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાએ શિક્ષકોને આડે હાથ લીધા અનેક નિવેદન કર્યા. ગોધરામાં એક કાર્યક્રમ દરમિયાન જાહેર મંચ પરથી શિક્ષકોના આંદોલનો અને સરકાર સામેના વિરોધ પ્રદર્શનો અંગે મંત્રીએ શિક્ષકોની કામગીરી પર સવાલ ઉઠાવ્યા. મંત્રીએ કહ્યુ કે સરકાર શિક્ષકોને આટલો મોટો પગાર આપે છે છતા તેમની ભૂખ નથી ભાંગતી. શિક્ષકોને 8 મા અને 10માં નાણાં પંચ સુધીના આર્થિક લાભ મળે છે છતા સરકાર સામે આંદોલનો કરે છે. પહેલા શિક્ષકોને ભણાવવાના 200-500 રૂપિયા મળતા હતા. અત્યારે આટલો પગાર મળે છે પણ તેમને કામ કરવુ નથી. વર્ગખંડના વાતાવરણ, શિક્ષણની ગુણવત્તા પર પણ તેમણે સવાલ ઉઠાવ્યા.
રમેશ કટારાએ શિક્ષકોને ટકોર કરતા કહ્યુ કે પહેલા તો શાળામાં ઓરડા પણ ન હતા અને પગાર પણ સારો મળતો ન હતો. તેમણે આક્ષેપ કર્યો કે આજકલ શિક્ષકો ભણાવવા કરતા તો મોબાઈલમાં રચ્યા પચ્યા રહે છે, આટલો પગાર લેવા છતા તેમને કામ કરવામાં રસ નથી, આ સાથે તેમણે કહ્યુ સરકાર શિક્ષકો પાસે કામગીરી કરાવે છે તો પગાર પણ આપે છે. એટલે કામ કરવામાં આળસ ન કરવી જોઈએ.
મંત્રી રમેશ કટારાના આ નિવેદનને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે વખોડ્યુ છે અને મંત્રી જાહેરમાં માફી માગે તેવી માગ કરી છે. શૈક્ષિક મહાસંઘે CM ને પત્ર લખી મંત્રી કટારા તેના નિવેદન બદલ શિક્ષકોની જાહેરમાં માગી માગે તેવી માગ કરી છે અને ભવિષ્યમાં આ પ્રકારના નિવેદનો ન કરે તે બાબતનું ધ્યાન રાખવા જણાવ્યુ છે. નિવેદનની યોગ્ય સમીક્ષા કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યુ છે. ABRSM ના અધ્યક્ષ મિતેશ ભટ્ટે જણાવ્યુ કે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજના મુજબ પગાર પંચનો લાભ મળે છે. સરકારના ઠરાવનો અમલ નથી કરતી ત્યારે ધરણા કરવાની ફરજ પડે છે. શિક્ષકોને વધારાના કામની ફરજ પડાય છે ત્યારે રજૂઆત માટે જવુ પડે છે.
આ તરફ શિક્ષક આલમમાં પણ મંત્રી કટારાના નિવેદનથી ભારે નારાજગી ફેલાઈ છે. શિક્ષકોનું કહેવુ છે કે રાજ્યના શિક્ષકોએ શિક્ષણ સિવાયના પણ 100 થી વધુ કામો કર્યા છે અને વધારાના કામો કરે છે તો વધારાનો પગાર નથી લેતા. શિક્ષકોએ જણાવ્યુ કે મંત્રી 8 મા અને 10 પગારપંચની વાતો કરે છે પરંતુ હજુ 8મુ પગારપંચ પણ લાગુ નથી થયુ. શિક્ષકોનું કહેવુ છે કે જો સરકાર યોગ્ય પગાર-ભથ્થા અને પેન્શન આપે તો શિક્ષકો આંદોલનો ન કરે. મંત્રીના નિવેદનને શિક્ષકોએ હતોત્સાહિત કરનારુ ગણાવ્યુ છે અને નિવેદનને પરત લેવાની જણાવ્યુ છે.
Published On - 9:19 pm, Sun, 14 June 26