
ગુજરાતમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ગુજરાત સરકાર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. ગાંધીનગર ખાતે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું કે, બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન ગુજરાત તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, જેના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રને હાઈ એલર્ટ પર રહેવા સૂચના આપવામાં આવી છે.
રાહત કમિશનરે જણાવ્યું કે, મુખ્યમંત્રીના નિર્દેશ બાદ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સંબંધિત જિલ્લાઓમાં અધિકારીઓની અગાઉ મંજૂર કરાયેલી રજાઓ પણ રદ્દ કરવામાં આવી છે. તમામ અધિકારીઓને પોતાના હેડક્વાર્ટર ખાતે હાજર રહેવા અને કોઈપણ પરિસ્થિતિમાં સ્થળ ન છોડવા માટે આદેશ આપવામાં આવ્યો છે, જેથી જરૂરિયાત સમયે તાત્કાલિક કામગીરી હાથ ધરી શકાય.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે આજની રાતથી લઈને આવતીકાલ દરમિયાન અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વલસાડ અને નવસારી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને વિગતવાર માર્ગદર્શિકા મોકલી છે. નીચાણવાળા અને નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને જરૂર જણાય તો સમયસર સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવવા સૂચના આપવામાં આવી છે. સાથે જ જોખમી હોર્ડિંગ્સ, નબળા ઝાડ અને અન્ય જોખમી માળખાં દૂર કરવાની કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવા માટે પણ સ્થાનિક તંત્રને નિર્દેશ આપવામાં આવ્યા છે.
રાજ્ય સરકારે નાગરિકોને પણ અપીલ કરી છે કે અતિભારે વરસાદના દિવસોમાં અત્યંત જરૂરી ન હોય તો ઘર બહાર નીકળવાનું ટાળવું, નદી-નાળા અને પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવું તેમજ સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું.
પરિસ્થિતિની સતત સમીક્ષા માટે અધિક મુખ્ય સચિવ (મહેસૂલ) દ્વારા જિલ્લા કલેક્ટરો સાથે બેઠક યોજવામાં આવી હતી. શાળા સંચાલન અંગે પણ કલેક્ટરોને સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી નિર્ણય લેવા અને જરૂર જણાય તો શાળાઓમાં રજા જાહેર કરવાની સત્તા આપવામાં આવી છે.
રેસ્ક્યુ અને રાહત કામગીરી માટે રાજ્યમાં NDRF અને SDRFની ટીમોને વ્યૂહાત્મક સ્થળોએ તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત, જરૂરિયાત ઊભી થાય તો બચાવ કામગીરી ઝડપી બની રહે તે માટે એરફોર્સના હેલિકોપ્ટરો સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે અને આર્મીની કોલમને પણ તૈયાર રાખવામાં આવી છે.
રાજ્ય સરકારનું કહેવું છે કે આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવશે અને જરૂરિયાત મુજબ વધારાના પગલાં લેવામાં આવશે. નાગરિકોને સાવચેત રહેવા અને અફવાઓથી દૂર રહી માત્ર સત્તાવાર સૂચનાઓ પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરવામાં આવી છે.