New Chief Minister of Gujarat: ગુજરાતના નવા મુખ્યપ્રધાન બનનાર ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલના વિશ્વાસુ ગણાય છે. જો કે ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં આવતા ઘાટલોડીયા મતવિસ્તારના ધારાસભ્ય તરીકે ભૂપેન્દ્ર પટેલે સારી કામગીરી કરીને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો પણ વિશ્વાસ સંપાદન કરવામાં સફળ રહ્યાં છે.
મેમનગર નગરપાલિકાથી રાજકીય કારકિર્દીની શરૂઆત
ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલની રાજકીય કારકિર્દી મેમનગર નગરપાલિકાના સભ્યથી શરુ થઈ હતી. તેમણે મેમનગર નગરપાલિકાની સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન તરીકે 1995 અને 1996માં સારી કામગીરી કરી હતી. જેના કારણે તેમને અમદાવાદ સ્કુલબોર્ડના સભ્ય તરીકેની જવાબદારી સોપવામાં આવી હતી.
AMCના કોર્પોરેટર
આ જવાબદારી સારી રીતે નિભાવતા તેમને, અમદાવાદના થલતેજ વોર્ડમાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. જ્યા તેમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મહત્વની ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી સોપવામાં આવી હતી.
ઔડના ચેરમેન પણ હતા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન બાદ તેમને ભારતીય જનતા પાર્ટીએ ઔડા તરીકે ટુંકમાં ઓળખાતા અમદાવાદ શહેરી વિકાસ સતામંડળના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. જ્યા તેમણે ઔડા વિસ્તારમાં વિકાસના સારા કામ સંપન્ન કર્યા હતા.
ગત વિધાનસભાની ચૂંટણીમાં ભૂપેન્દ્ર પટેલને ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ભારે બહુમતીથી જીત મેળવીને વિક્રમ રચ્યો હતો.
અભ્યાસ
15 જુલાઈ 1962માં જન્મેલા ભૂપેન્દ્ર રજનીકાંત પટેલે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ કર્યુ છે. તેઓ સરદાર ધામ તેમજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ છે.
Published On - 4:34 pm, Sun, 12 September 21