નવસારી(Navsari) વિજલપોરમાં આજે સોમવારથી ત્રણ દિવસ રેલવે ફાટક બંધ રહેવાની જાહેરાત કરવામાં આવી છે . ફાટક બંધ રહેવાના કારણે વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. વિજલપોરમાં આવેલ રેલવે ફાટક ઉપરથી દિવસ દરમિયાન હજારો વાહનચાલકોની અવરજવર થતી હોય છે.ઉલ્લેખનીય છે કે અહીં નજીકનું ગરનાળુ તો ઘણા સમયથી બંધ છે. વૈકલ્પિક માર્ગ બંધ થવાના કારણે વાહનચાલકો પાસે ફાટક ઉપરથી જ અવરજવર કરવાનો મુખ્ય વિકલ્પ રહેતો હોય છે. રેલવે તંત્ર દ્વારા બોર્ડ લગાવી વાહનચાલકોને આ બાબતની સૂચના આપવામાં આવી છે. રેલવે તંત્રએ એક બોર્ડ લટકાવી જાણકારી આપી છે કે રેલવે ફાટકને તા. 1 ઓગસ્ટને સોમવારે સવારે 7 કલાકથી 3 ઓગસ્ટ સાંજે 7 વાગ્યા સુધી મરામતની કામગીરી માટે બંધ રાખવામાં આવશે. ફાટક બંધ રહેવાથી વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડશે. સતત ત્રણ દિવસ ફાટક બંધ રહેવાથી જાહેરાતથી અહીંથી અવરજવર કરતા હજારો લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
વાહનચાલકોને હવે ફાટક બંધ રહે છે ત્યાં સુધી લાંબા અંતરનો માર્ગ પસંદ કરવો પડશે. અતિવ્યસ્ત માર્ગ ઉપરનો ફાટક બંધ થવાથી અત વૈકલ્પિક માર્ગ ઉપર ટ્રાફિકનું ભારણ વધશે. વાહનચાલકોએ નવસારી રેલવે ફાટક, નવસારી અંડર બ્રિજ, ગાંધી સ્મૃતિ ફ્લાય ઓવરના વૈકલ્પિક માર્ગનો સહારો લેવો પડશે જેને લઇ આ વિસ્તારોમાં ટ્રાફિકનું ભારણ વધશે. આ વચ્ચે ચિંતાના સમાચાર એ છે કે વધારે વરસાદ પડે ત્યારે નવસારી અંડર બ્રિજમાં પાણી ભરાઈ જાય છે. વરસાદ દરમ્યાન આ માર્ગ બંધ થાય તો સમસ્યા વધવાની પણ શક્યતા નકારી શકાય નહિ.
ભારત સરકારના માલગાડીઓ માટેના ડેડીકેટેડ ફ્રેટ કોરીડોર અંતર્ગત પશ્ચિમ રેલ્વેની તમામ રેલ્વે ફાટકોને માનવ રહિત કરવાની યોજના છે. નવસારી જિલ્લામાં પણ મરોલી, સાગરા, નવસારી, વિજલપોર, ગાંધીસ્મૃતિ, અમલસાડ, બીલીમોરા, દેસરા સ્થિત રેલ્વે ફાટકોને બંધ કરી રેલ્વે ઓવર બ્રિજ બનાવવાની જાહેરાત થઇ છે. વિજલપોર મહત્વનો અને અતિવ્યસ્ત ફાટક છે. ત્રણ દિવસ રેલવે ફાટક બંધ રહેવાથી મોટી સંખ્યામાં વાહનોની અવરજવર પ્રભાવિત થશે. લવે ફાટકને તા. 1 ઓગસ્ટને સોમવારે સવારે 7 કલાકથી 3 ઓગસ્ટ સાંજે 7 વાગ્યા સુધી મરામતની કામગીરી માટે બંધ રાખવામાં આવશે.પોલીસતંત્ર પણ સંભવિત ટ્રાફિકની સમસ્યા હલ કરવા આગોતરું આયોજન કરી રહ્યું છે.