નવસારી (Navsari)જિલ્લા અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તાજેતરમાં નવસારીમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. અડધું નગર પાણીમાં ડૂબ્યું હતું તો વરસાદી પાણીના કારૅણે જિલ્લામાં ઘણા ગ્રામ્ય વિસ્તાર અને નેશનલ હાઈવેને પણ નુકસાન પહોંચ્યું હતું. તંત્રએ નુકસાની સર્વે સાથે અસરગ્રસ્તોને રાહત પહોંચાડવાની શરૂઆત કરી છે. નવસારી શહેરના પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં અંદાજે 9 કિલોમીટરના રસ્તા ધોવાયા હતા અને અંદાજે 200 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. હાલમાં જ પૂર્ણા , અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવતા નદીનું પાણી શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા હતા.
નવસારીના અસરગ્રસ્ત વિસ્તારોમાં પૂરના પાણી ત્રણથી ચાર દિવસ અડિંગો જમાવવા સાથે ભારે વરસાદના કારણે રસ્તાઓનું ભારે ધોવાણ થયું હતું. સૌથી વધુ નુકસાન પ્રકાશ ટોકિઝથી વિરાવળ અને ભેંસતખાડાને જોડતા રીંગરોડને થયું છે. આ આખો રીંગરોડ પૂરના પાણીમાં ડૂબ્યો હતો. આ ઉપરાંત શહેરના બંદર રોડ, રાયચંદ રોડ, વિરાવળ રોડ, કાછીયાવાડી, ચોવીસી, સહિતના મુખ્ય માર્ગ તથા અંતરિયાળ માર્ગો પણ વરસાદી પાણીમાં ધોવાયા હતા.
આ તમામ રસ્તાઓ પૈકી કેટલાક બદતર સ્થિતિમાં છે જે ધોવાઈ ગયા છે અથવા તેમાં ઠેરઠેર ખાડાઓ પડ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધોવાણ થતા નુકસા વધુ થયું છે. પૂરના ઓસર્યા બાદ નવસારી-વિજલપોર નગરપાલિકાએ પ્રાથમિક સર્વે શરૂ કર્યું હતું તેમાં આ પૂર અસરગ્રસ્ત વિસ્તારના અંદાજે 9 કિલોમીટરના રોડને નુકસા સામે આવી છે. આ નુકસાનીની રકમ અંદાજે સવા બે કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. માત્ર પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં જ નહીં પરંતુ સમગ્ર નવસારી શહેરમાં ધોધમાર વરસાદને કારણે ખાસ કરીને પાલિકા હસ્તકના રોડ ધોવાયા છે.
નવસારી તાલુકાના ૧૩ ગામોના 1000 થી વધુ અસરગ્રસ્તોને પોણા ત્રણ લાખથી વધુ રકમની કેશડોલ્સ સહાય ચુકવાઈ છે. ગત સપ્તાહે નવસારી જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદ તથા ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે સમગ્ર જિલ્લામાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી. પુરના પાણી ઓસર્યા બાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુધ્ધના ધોરણે સર્વે સહીત કેશડોલ્સની ચુકવણી કરવામાં આવી છે. નવસારી તાલુકાના ૧૩ ગામોમાં ૧૩૫૦ અસરગ્રસ્તોને રૂપિયા .૨.૭૮ લાખની કેશડોલ્સની ચુકવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ૧૩ જેટલી જુદી જુદી ટીમો બનાવીને ૧૧૨ જેટલા ઘરવખરીના નુકશાનનો સર્વે કરાયો હતો.
Published On - 8:41 am, Wed, 20 July 22