
નવસારી શહેર અને જિલ્લામાં સતત ધોધમાર વરસાદ વરસતા જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને મંકોડીયા છાપરા રીંગરોડ પર વરસાદી પાણી ફરી વળતાં વાહનવ્યવહારને અસર પહોંચી છે. નવસારીથી છાપરા જતો માર્ગ પણ પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
વિજલપોર વિસ્તારમાં આવેલી ગ્રીન પાર્ક અને રોયલ ગાર્ડન સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જતાં 200થી વધુ ઘરો પ્રભાવિત થયા છે. સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે વરસાદી મોસમ દરમિયાન આ જ સમસ્યા ઉભી થાય છે, પરંતુ કાયમી ઉકેલ હજુ સુધી આવ્યો નથી. ઘરોમાં પાણી ઘૂસતાં રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
જિલ્લામાં ભારે વરસાદના કારણે કુલ 64 રસ્તાઓ પર અવરજવર બંધ કરવાની ફરજ પડી છે. તેમાં નવસારી ગ્રામ્ય વિસ્તારમાં જ 17 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. અનેક ગામોનો સંપર્ક અસરગ્રસ્ત બનતા તંત્ર દ્વારા સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી સ્થળોએ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
વરસાદ વચ્ચે દરિયાકાંઠા વિસ્તારમાં ભરતીનો સમય નજીક આવતા જિલ્લા તંત્ર વધુ સતર્ક બન્યું છે. કાવેરી, અંબિકા અને પૂર્ણા સહિતની નદીઓની જળસપાટી પર સતત નજર રાખવામાં આવી રહી છે જેથી કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.
ચીખલી નજીકથી પસાર થતી કાવેરી નદીની જળસપાટી સતત વધી રહી છે. 19 ફૂટની ભયજનક સપાટી ધરાવતી કાવેરી નદી હાલમાં 12 ફૂટ સુધી પહોંચી ગઈ છે. નદીની સપાટી વધતાં ચીખલી રિવરફ્રન્ટ નજીક આવેલો કોઝવે ઓવરફ્લો થયો છે, જ્યારે નદી કિનારે આવેલું મહાદેવ મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને કાવેરી નદીના કાંઠાના 15 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
જિલ્લાની અંબિકા અને પૂર્ણા નદીઓની જળસપાટી હાલમાં સામાન્ય હોવાનું તંત્રએ જણાવ્યું છે. તેમ છતાં આગામી વરસાદની આગાહી અને ઉપરવાસમાંથી આવનારા પાણીની સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ નદીઓ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા વહીવટી તંત્રએ લોકોને સાવચેત રહેવા અને બિનજરૂરી રીતે નદી-કોઝવે નજીક ન જવા અપીલ કરી છે.
આ પણ વાંચો- Breaking News : વડોદરાથી ભરૂચ સુધીની મુસાફરી થઈ મોંઘી ! નેશનલ એક્સપ્રેસ-વે 4 પર આજથી ટોલ ટેક્સમાં 5% વધારો
Published On - 1:34 pm, Tue, 21 July 26