કેવડિયા- એકતાનગર (Kevadia- Ektanagar) માં સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ને અડી આવેલા ટેન્ટ સિટી ખાતે વધુ એક કોન્ફરન્સનું આયોજન થવા જઈ રહ્યું છે. આ વખતે ટેન્ટ સિટી ખાતે વિશ્વ મધમાખી દિવસની ઉજવણી કરવામાં આવશે. આવતીકાલ એટલે કે 20મી તારીખે આ કોનફરન્સ યોજાવાની છે જેમાં કેનદ્રીય મંત્રીઓ અને વિવિધ રાજ્યોના કૃષિ પ્રધાનો હાજરી આપશે. આ કોન્ફરન્સમાં મધ ઉછેર માટે ખેડૂતોને કઈ રીતે પ્રોત્સાહિત કરી શકાય અને આ ક્ષેત્રમાં કયા પડકારો રહેલા છે તે બાબતે ચર્ચા કરવામાં આવશે.
ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અને નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડના સહયોગથી કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના મંત્રી નરેન્દ્રસિંહ તોમરના અધ્યક્ષ સ્થાને તેમજ કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરી અને સુશ્રી શોભા કરંદલાજે અને ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગના મંત્રી રાઘવજીભાઇ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતના કેવડિયા-એકતાનગર ટેન્ટ સિટી-1 ખાતે તા.20 મી મે, 2022 ને શુક્રવારના રોજ સવારે 11:00 કલાકે “વિશ્વ મધમાખી દિવસની ઉજવણી” નો કાર્યક્રમ યોજાશે.
આ પ્રસંગે મધમાખી ઉછેર સંબંધિત તમામ પાસાઓને આવરી લેતા ઉદ્ઘાટન અને ટેકનિકલ સત્રો ઉપરાંત વિવિધ પ્રકારના મધ અને મધમાખીના અન્ય ઉત્પાદનો, સંબંધિત સાધનો/ મશીનરી, મધમાખી ઉછેરમાં મૂલ્યવર્ધિત ઉત્પાદનો વગેરેનું પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉક્ત કાર્યક્રમમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR), કેન્દ્રિય અને રાજ્ય સરકારની કૃષિ/હોર્ટીકલ્ચર યુનિવર્સિટીના સભ્યો, NAFED, TRIFED,NBB, હની FTO વગેરે સભ્યો આ કાર્યક્રમમાં સહભાગી બનશે.
કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવ માટેના પ્રયાયો હાથ ધરાઈ રહ્યા છે જે અંતર્ગત ખેડૂતો વૈકલ્પિક ખેતી તરફ વળે તે માટે વિવિધ આયોજન કરાઈ રહ્યાં છે અને તે માટે પ્રોત્સાહિત કરાઈ રહ્યા છે. મધમાખી ઉછેર પણ આ પ્રકારનો જ વૈકલ્પિક વ્યવસાય છે જે ખેતીની સાથે કરી શકાય છે. ખેડૂતો પોતાની ખેત ઉપજમાં કોઈ પણ પ્રકારની અડચણ વગર મધમાખી ઉછેર કરીને આવક મેળવી શકે છે. મધના આરોગ્યને લગતા ફાયદાને કારણે અત્યારે તેનો ઉપયોગ વધી રહ્યો છે જેથી જેનું સરળતાથી બજાર મળી રહેતું હોવાથી ખેડૂતોને મધમાખી ઉછેર તરફ વાળવા અંગે આ કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવશે.