મોરબી બ્રિજ દુર્ઘટનાને હાઈકોર્ટે સુઓમોટો લીધા બાદ વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કેટલીક ટકોર પણ કરી ઓરેવા ગૃપ સામે શું પગલા લીધા તે અંગે રિપોર્ટ માગતો વેધક સવાલ રાજ્ય સરકારને કર્યો છે. SIT તપાસનો અહેવાલ સીલબંધ કવરમાં રજૂ કરવા આદેશ કર્યો છે. હાઈકોર્ટે ટકોર કરી છે કે ઓરેવા કંપની હોય કે મોરબી નગરપાલિકા હોય તેમને માત્ર ટિકિટ અને પૈસામાં જ રસ હોય, પરંતુ કોઈપણ જાતના સમારકામમાં રસ હતો તેવુ ક્યાંય દેખાયુ નથી. હાઈકોર્ટે અગત્યપૂર્ણ હુકમ એ પણ કર્યો છે કે SITની તપાસ યોગ્ય ન લાગે તો હાઈકોર્ટ અન્ય એજન્સીને પણ આ તપાસ સોંપશે.
રાજ્ય સરકાર દ્વારા જે કમિટીની રચના કરવામાં આવી છે તેમાં કોણ કોણ છે, તે અંગેની માહિતી પણ હાઈકોર્ટે માગી છે. મોરબી નગરપાલિકાને હાઈકોર્ટ દ્વારા પૂછવામાં આવ્યુ કે સાડા પાંચ વર્ષ સુધી કોઈપણ એગ્રીમેન્ટ વગર ઓરેવા ગૃપને બ્રિજને વાપરવા શા માટે દેવામાં આવ્યો? 5 વર્ષ સુધી કેમ નગરપાલિકા ચૂપ રહી આ પ્રકારના વેધક સવાલ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યા છે. સાથે જ રાજ્યભરના તમામ બ્રિજનો સર્વે કરવા હાઈકોર્ટે સરકારને નિર્દેશ કર્યો છે.
હાઈકોર્ટમાં રાજ્ય સરકારના વકીલે જણાવ્યુ કે બ્રિજ દુર્ઘટનામાં જેમના માતાપિતા બંને ગુજરી ગયા છે તેવા 7 બાળકો છે. આ બાળકોને 37 લાખ રૂપિયાનું વળતર ચુકવવામાં આવશે. જેમાં મુખ્યમંત્રી રાહત કોષ, પ્રધાનમંત્રી રાહત કોષ અને ખાનગી દાતાઓ થકી મળેલા દાનમાં પ્રતિ બાળકને 37 લાખ રૂપિયા ચુકવાશે. આપને જણાવી દઈએ કે તમામ લોકોને અપાયેલા વળતર મામલે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને જણાવ્યુ હતુ કે આજના સમયમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ 4 લાખનું વળતર પૂરતુ નથી. અમને સંતોષ નથી. સરકારે ઓછામાં ઓછુ 10 લાખનું વળતર ચુકવવું જોઈએ તો બીજી તરફ હાઈકોર્ટ દ્વારા એ પણ ટકોર કરાઈ હતી કે મૃતકોની જ્ઞાતિ લખવાની શું જરૂર છે? તમામ મૃતકો સમાન રીતે જ ગણાય.
માતા અને પિતા બંને ગુજરી ગયાં હોય એવા બાળકોને પ્રતિ મહિને 3 હજારનું વળતર સરકાર ચૂકવશે તેમ જણાવતાં હાઈકોર્ટે કહ્યું કે 3000માં બાળકના સ્કૂલના યુનિફોર્મ અને પુસ્તકો પણ નહીં આવે, વળતર પૂરતું નથી.
ઈનપુટ ક્રેડિટ- રોનક વર્મા- અમદાવાદ