નવસારીના લોકો રસ્તા પર ભુવા પડવાથી પરેશાન થઇ ચૂક્યા છે. ચોમાસાની શરૂઆતથી જ નવસારી શહેરના મુખ્ય માર્ગો પર ભુવા પડવાની શરૂઆત થઇ ગઇ છે. વારંવાર રસ્તા પર ખાડા અને ભુવા પડવાથી નવસારીની પ્રજા હેરાન પરેશાન થઇ ગઇ છે. દર વર્ષે ચોમાસા દરમિયાન શહેરમાં નાના મોટા ભુવાઓ પડતા જ હોય છે.
નવસારીમાં પડતા ખાડા અને તૂટેલા રોડ નવસારીની જનતા માટે ઘાત સમાન બની ગયા છે. રોજબરોજ નવસારીમાં કેટલીક જગ્યાએ આ તૂટેલા રસ્તાઓને કારણે અકસ્માત સર્જાય છે. સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં શાસકો દ્વારા કોઈ પગલા લેવામાં નથી આવતા. રીંગ રોડ સહિત અન્ય કેટલાક રસ્તાઓનો ચોમાસા દરમિયાન કચ્ચર ઘાણ વળી જતો હોય છે.
સ્થાનિકો દ્વારા કેટલીકવાર અરજી કરવા છતાં પણ પ્રશાસન આ ખાડાઓને લઇને બેદરકારી દાખવી રહ્યુ છે. રોજ આ ખાડામાં બે થી ત્રણ લોકો પડી જાય છે. મોડી રાત્રે અવરજવર કરતા લોકોને આ ખાડા દેખાતા નથી અને અકસ્માતનો ભય બની રહે છે તેવામાં જો કોઇ જાનહાની થઇ તો તેનું જવાબદાર કોણ ?
નવસારીમાં પ્રશાસન દ્વારા કરોડોના ખર્ચે નવા રસ્તા બનાવવામાં આવે છે, પરંતુ વરસાદ પડતાની સાથે જ આ રસ્તા પર ફક્ત ખાડા અને ભુવા જોવા મળે છે. ગત વર્ષે પણ થોડાં જ વરસાદમાં રસ્તાની હાલત કફોડી થઇ ગઇ હતી અને આ વખતે પણ નવસારીમાં ઘણા બધા નવા રસ્તાઓનું નિર્માણ કરવામાં આવ્યુ છે. તેવામાં આગામી સમયમાં આ રસ્તાઓના શું હાલ થશે તે જોવું રહ્યુ.
આ પણ વાંચો – Kutch : અબડાસાના ધારાસભ્ય પ્રધુમનસિંહ જાડેજાએ લોક દરબાર યોજી ભીડ એકત્રિત કરી, Video થયો વાયરલ
આ પણ વાંચો – Surat : ફેફસા ફૂલી જતા દર્દીને ચેન્નાઇ એરલિફ્ટ કરવામાં આવ્યા, છેલ્લા ત્રણ મહિનામાં 8 દર્દીને એરલિફટ કરાયા