Surat : ફેફસા ફૂલી જતા દર્દીને ચેન્નાઇ એરલિફ્ટ કરવામાં આવ્યા, છેલ્લા ત્રણ મહિનામાં 8 દર્દીને એરલિફટ કરાયા
Surat : ગુજરાતી વેપારીને કોરોનાની વધુ સારવાર માટે ચેન્નાઇ ખસેડવામાં આવ્યા હતા. તેમને સુરત એરપોર્ટ પરથી એરલિફ્ટ (Air lift) કરવામાં આવ્યા હતા.
Surat : કોરોનાના (Corona) કારણે સુરતના ઘણા દર્દીઓની હાલત ગંભીર થતા અમુક દર્દીઓ અન્ય શહેરોમાં સારવાર લેવાનું પસંદ કરે છે. આવા જ એક ગુજરાતી વેપારીને કોરોનાની વધુ સારવાર માટે ચેન્નાઇ ખસેડવામાં આવ્યા હતા. તેમને સુરત એરપોર્ટ પરથી એરલિફ્ટ (Air lift) કરવામાં આવ્યા હતા.
સુરતના હીરા વેપારી રાજેશ ગુજરાતીના કોરોનાના કારણે ફેફસા ફૂલી ગયા હતા. યુનિક હોસ્પિટલના ચેસ્ટ ફિઝિશયન ડો.દિપક વિરડીયાએ જણાવ્યું હતું કે, 4 દિવસ પહેલા રાજેશભાઇ ફેફસા ફૂલી ગયા હતા. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. આ સાથે જ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી હતી. જોકે વધુ સારવાર માટે તેમને ચેન્નાઇ ખસેડવાના હોવાથી એર એમ્બ્યુલન્સથી એરલિફ્ટ કરવામાં આવ્યા હતા.
દર્દીને કોઈપણ તકલીફ ન પડે અને તબિયત સ્ટેબલ રહે તે માટે મેડિકલ ટીમની પણ ખાસ વ્યવસ્થા રાખવામાં આવી હતી. જોકે હાલમાં પડી રહેલા વરસાદના કારણે એર એમ્બ્યુલન્સ રદ્દ થઈ શકે તેમ હતી. પણ બપોર પછી વાતાવરણ સુધરતા એર એમ્બ્યુલન્સમાં (Air Ambulance) લઈ જવાયા હતા.
સુરત એરપોર્ટના ડિરેક્ટર અમન સૈનિના જણાવ્યા પ્રમાણે કોરોના પહેલા સુરત એરપોર્ટથી વર્ષમાં માત્ર એક વાર જ એર એમ્બ્યુલન્સ દ્વારા અન્ય શહેરમાં દર્દીઓને સારવાર અર્થે લઇ જવાતા હતા. જોકે કોરોનાના કારણે એપ્રિલમાં પાંચ, મે મહિનામાં બે અને જૂન મહિનામાં 1 એમ કુલ આઠ દર્દીઓને ચેન્નાઈ અને હૈદરાબાદ લઈ જવાયા હતા.
સામાન્ય રીતે એર એમ્બ્યુલન્સથી કોઈ દર્દીને જ્યારે અન્ય શહેરમાં શિફ્ટ કરવા માટે 70 થી 80 હજારનો ખર્ચ થતો હોય છે. કોરોનાના કારણે ફેફસાંનું સંક્રમણ દૂર કરવા માટે દર્દીઓને અન્ય શહેરમાં લઇ જવાની ફરજ પડી હતી.