ગુજરાત (Gujarat) સરકાર દ્વારા ખેડૂતો માટે બિયારણ નોધણી(Seed ) માટે જુની રજીસ્ટ્રેશન પ્રથાના સ્થાને ઝડપી, સરળ અને પારદર્શકતા આવે તે હેતુસર ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરેલ છે. આ અંગે વધુ જણાવતા મહેસાણા (Mehsana)નાયબ ખેતી નિયામકે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ડિઝીટલાઈઝેશન ઉપર ભાર મુકવામાં આવ્યો છે ત્યારે ખેડૂતોને બિયારણની નવી જાત સત્વરે ઉપલબ્ધ બને તે માટે બિયારણ ઉત્પાદક કંપનીએ કરવાની થતી નોંધણી પ્રક્રિયાને ઑનલાઈન કરવામાં આવી રહી છે. ઑનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં ઉત્પાદક કંપનીઓ પાસેથી પાકની જાત, તેના ગુણધર્મ, તેના ઉત્પાદન સબંધી આંકડાકીય વિગતો, રોગ-જીવાત સબંધિત વિગતો તેમજ કંપની પાસેની સંશોધન સુવિધાઓ સહિતની વિગતો મેળવવામાં આવશે.
આમ બિયારણની નવી જાતની નોંધણી વધુ ઝડપી બનશે અને ખેડૂતોને સત્વરે ગુણવત્તાયુક્ત બિયારણ ઉપલબ્ધ કરાવી શકાશે. રાજ્યના ખેડુતોને ગુણવત્તાયુક્ત બિયારણ ઉપલબ્ધ કરાવવા માટે વાર્ષિક સરેરાશ 6000 થી વધુ બિયારણના નમુના લેવામાં આવે છે. બિયારણની જનિનીક શુધ્ધતા ચકાસવા માટે પણ બિયારણના નમુના લેવામાં આવે છે. બીજ ચકાસણી પ્રયોગશાળાના પરિણામને આધિન બિનપ્રમાણિત થનાર નમૂના પરત્વે બિયારણ અધિનિયમ ૧૯૬૬ અને બિયારણ કંટ્રોલ ઓર્ડર 1983 હેઠળ કાયદેસરના પગલાં ખેતીવાડી વિભાગના ગુણવત્તા નિયંત્રણ તંત્ર દ્વારા લેવામાં આવે છે.
આ ઉપરાંત બીટી કપાસ બિયારણ વેચતી કંપનીઓ દ્વારા પોતાના બિયારણની નવી જાતના નમુના નિયત ફી ભરી ચકાસવા ગાંધીનગર ખાતેની બીજ ચકાસણી પ્રયોગશાળામાં આપવામાં આવે છે. વધુમાં ખેડૂતોના હિતમાં બિયારણ વાવ્યા બાદ ખેડૂતોની ઉભા પાક સંબંધી ફરિયાદોના નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તથા કૃષિ વૈજ્ઞાનિકોની સમિતિઓની પણ રચના કરવામાં આવેલી છે. જિલ્લામા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) મહેસાણા કચેરીના ગુણવત્તા નિયંત્રણ તંત્ર હેઠળના ખેતી અધિકારીશ્રીઓ દ્વારા પાક વાવેતર અને સીઝનને અનુરુપ ખેતી પાકોના બિયારણના નમૂના લેવામાં આવે છે.
તેમજ તેની ચકાસણી ખેતીવાડી વિભાગ હસ્તકની બીજ ચકાસણી પ્રયોગશાળામાં કરવામાં આવે છે.આમ ખેડુતોને ગુણવત્તાયુક્ત બિયારણ ઉપલબ્ધ થાય તેની તકેદારી રાખવામા આવે છે. કોઈ પરવાનેદાર કે ઇસમ અનઅધિકૃત રીતે નકલી બિયારણ વેચાણ કરતાં હોય તો જે તે તાલુકાના એગ્રીકલ્ચર ઈન્સપેક્ટર ને જાણ કરવા જણાવ્યું છે.
Published On - 5:42 pm, Sat, 7 May 22