મહેસાણા(Mehsana)ના વિજાપુરમાં હર ઘર તિરંગા યાત્રા (Tiranga Yatra)ના કાર્યક્રમના બહાને પૂર્વ ધારાસભ્ય પી.આઇ. પટેલે શક્તિ પ્રદર્શન યોજ્યું. આ કાર્યક્રમમાં ભાજપ (BJP)ના તમામ સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહ્યા પરંતુ વિજાપુરના હાલના ધારાસભ્ય રમણ પટેલ ગેરહાજર રહ્યા. જે બાદ બંને નેતાઓ વચ્ચેની આંતરિક ખેંચતાણ સપાટી પર આવી છે. ધારાસભ્ય રમણ પટેલે સમગ્ર મુદ્દે પ્રતિક્રિયા આપી પી.આઇ. પટેલ પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા પી.આઇ. પટેલની માનસિકતા ખોટું બોલવાની છે. તેમણે કરેલો કાર્યક્રમ પાર્ટીનો કાર્યક્રમ નથી. તેમણે વિકાસ સમિતિના નામે કાર્યક્રમ કર્યો છે. આ કાર્યક્રમને ભાજપ સાથે કોઇ લેવાદેવા નથી.
ભાજપનો કાર્યક્રમ 12 અને 13 તારીખે યોજાશે. પી.આઇ. પટેલે રમણ પટેલ પર પલટવાર કરતા કહ્યું કે તેઓ ભાજપના જ કાર્યકરો વચ્ચે સંકલન સાધી શકતા નથી અને તેમને સાચવી શકતા નથી. બીજી તરફ પૂર્વ ધારાસભ્ય કાંતિ પટેલ પણ રમણ પટેલના સમર્થનમાં આવ્યા છે. તેમણે કહ્યું કે પી.આઇ. પટેલ ભાજપને તોડવાનું ષડયંત્ર રચી રહ્યા છે. તેમને સત્તા સિવાય બીજા કોઇમાં રસ નથી
રમણ પટેલે વધુમાં જણાવ્યુ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનુ આયોજન 12મી અને 13મી ઓગષ્ટે કરવામાં આવ્યુ છે. આ દરમિયાન કોઈ ગૃપ રચીને વિજાપુર તાલુકા સમિતિના નામે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને આ કાર્યક્રમથી હું બિલકુલ અજાણ છુ. તો રમણ પટેલે વધુમાં કહ્યુ કે એ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીનો ચાલુ હોદ્દેદાર કોઈ જોડાયા નથી કે ના તો કોઈ સિટિંગ ધારાસભ્ય તેમા જોડાયા છે.
તો બીજી તરફ પી.આઈ. પટેલે જણાવ્યુ કે તાલુકાની અંદર જગજાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને અમે કોઈને આવવા માટે ના નથી પાડી, જેને આવવુ હોય તે આવી શકે છે. ક્યારેય અમે ના પાડવાના નથી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમણ પટેલની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી તેના વિશે પર પૂછવામાં આવતા તેમણે કહ્યુ કે તેઓ તેમના મનથી નથી આવ્યા અમે ક્યારેય એમને ના પાડી નથી. તો રમણ પટેલની નારાજગી અંગે તેમણે જણાવ્યુ કે ધારાસભ્ય ભાજપથી નારાજ નથી, પરંતુ તાલુકાની ભાજપની વિચારસરણી સાથે તેઓ તાલમેલ સાધી શક્તા નથી.
ઈનપુટ ક્રેડિટ- મનિષ મિસ્ત્રી- મહેસાણા
Published On - 4:45 pm, Sun, 7 August 22