ગુજરાતના(Gujarat) 20 જિલ્લામાં ફેલાયેલા પશુઓના રોગ લમ્પી વાઈરસને(Lumpy Virus) લઇને રાજ્ય સરકાર હવે સતર્કતા દાખવી રહી છે. જેમાં ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં લમ્પી વાઈરસનો ફેલાવો વધી રહ્યો છે. જેમાં પગલે મહીસાગર(Mahisagar) અને બનાસકાંઠા જિલ્લામાં પણ વહીવટીતંત્ર દ્વારા સાવધાની રાખવામાં આવી રહી છે. જેમાં મહીસાગર જિલ્લામાં પણ લમ્પી વાયરસના ફેલાવાને અટકાવવા માટે જિલ્લા કલેકટરે પશુપાલકોને સોશિયલ મીડિયાના માધ્યમથી સંદેશ આપ્યો છે. જેમાં પશુઓમાં લમ્પી વાઈરસનાં કોઈપણ લક્ષણ દેખાય તો 1962 નંબર પર કોલ કરી જાણ કરવા અપીલ કરી છે. આ ઉપરાંત તેમણે વિડીયો મેસજથી પશુપાલકોને અપીલ કરી છે. જેમાં જિલ્લા બહારથી પશુઓ લાવવાનું અને લઈ જવા તેમજ વેચાણ કરવાનું હાલ પૂરતું બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી છે.
ગુજરાતમાં અત્યાર સુધી 20 જિલ્લામાં 57,677 પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળ્યો છે. જેમાંથી 41065 પશુઓ સ્વસ્થ થયા છે. જયારે 1639 પશુઓના મોત થયા છે. જયારે 14973 પશુઓની સારવાર અને ફોલોઅપ ચાલુ છે. જેમાં મંગળવારે નવા નોંધાયેલા 1727 કેસ પૈકી સૌથી વધુ જામનગરમાં 413, રાજકોટ જિલ્લામાં 363, કચ્છ જિલ્લામાં 301, દ્વારકા જિલ્લામાં 291 અને બાકીના સાત જિલ્લામાં ઓછા કેસ નોધાયેલ છે. ગુજરાત સરકારે આપેલી માહિતી મુજબ ગુજરાતમાં કચ્છ, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત, પાટણ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, મહેસાણા અને વલસાડમાં પશુઓમાં લમ્પી વાયરસના કેસ જોવા મળ્યા છે.
જયારે નીરોગી પશુઓમાં ફેલાવો ના થાય તે માટે 11. 68 લાખ વધુ પશુઓના રસી આપવામાં આવી છે. જેમાં અત્યાર સુધી નોંધાયેલા સૌથી વધુ કેસ 38, 141 એટલે કે 66 ટકા, દ્વારકામાં 4673 એટલે કે 8 ટકા, જામનગર જિલ્લામાં 4241 એટલે કે 7 ટકા કેસ નોંધાયા છે. જેમાં આજે 20 જિલ્લામાંથી સાત જિલ્લામાં 74 પશુઓ લમ્પી વાયરસના લીધે મૃત્યુ પામ્યા છે. જેમાં કચ્છ જિલ્લામાં 54, ભાવનગર જિલ્લામાં 5, જામનગર જીલ્લામાં 04, દ્વારકામાં 3, બોટાદ જિલ્લામાં 03, અમરેલી જિલ્લામાં 03, બનાસકાંઠા જિલ્લામાં 01 અને સુરેન્દ્રનગર જિલ્લામાં 01 પશુ મરણ નોંધાયેલ છે. જયારે બાકીના 12 જિલ્લામાં કોઇ પશુ મરણ નોંધાયેલ નથી.
આ દરમ્યાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પશુધનમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળેલા લમ્પી સ્કીન ડિસીઝથી અસરગ્રસ્ત કચ્છ જિલ્લાની મંગળવારે મુલાકાતે પહોંચ્યા હતા. કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ પણ તેમની સાથે મુલાકાતમાં જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભુજના કોડકી રોડ ખાતેના લમ્પી આઈસોલેશન સેન્ટર અને સુખપર ગૌરક્ષણ સંસ્થા-પશુ રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમજ પશુધનને અપાઈ રહેલી સારવાર-સંભાળની જાણકારી મેળવી હતી. લમ્પી રોગથી અસરગ્રસ્ત પશુઓને અલાયદા રાખવા માટેના આઈસોલેશન સેન્ટરમાં પશુઓ અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરીને વિગતે માહિતી મેળવ્યા બાદ તેઓએ અધિકારીને જરૂરી સુચનો કર્યા હતા.
(With Input, Bhupendra Solanki ,Mahisagar)