ખેડામાં આવેલ જગપ્રસિદ્ધ તીર્થધામ વડતાલ મંદિરમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ અને તેમના સગા સ્નેહીઓને વડતાલ મંદિર સવાર સાંજ બંને સમય ભોજપ આપવામાં આવે છે. દાળ, ભાત, શાક, રોટલી, દૂધ અને ફળ તથા ફળનું તાજુ જ્યુસ આપીને સેવા કરવામાં આવે છે.
સંસ્થા દ્વારા વિસ્તાર પ્રમાણે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે.. જેથી જરૂરીયાત વાળા લોકો સવારે ૮-૦૦ વાગ્યા પહેલા અને સાંજે ત્રણ વાગ્યા પહેલા ટીફીનની સંખ્યા અને સરનામું નોંધણી કરાવી શકશે. અને તે પ્રમાણે વડતાલ મંદિરની સ્વયં સેવકોની ટીમ ઘેર અથવા હોસ્પિટલ પ્રસાદરૂપ ભોજન પહોંચાડે છે.
રાજ્યમાં ગઈકાલે 18 જિલ્લામાં કોરોનાથી એક પણ મોત નહીં, જ્યારે સાજા થવાનો દર વધીને 93.36 ટકા થયો. આ સ્થિતિ છે રાજ્યમાં કોરોનાની. રાજ્યમાં સતત પોઝિટિવ કેસ ઘટી રહ્યા છે, જ્યારે મૃત્યુઆંક પણ નીચે આવી રહ્યો છે. પાછલા 24 કલાકમાં 2,521 પોઝિટિવ કેસ નોંધાયા, જ્યારે 27 દર્દીઓના કોરોનાથી મૃત્યું થયા, તો 7,965 દર્દીઓ સાથે સાજા થનારા દર્દીઓની સંખ્યા વધીને 7 લાખ 50 હાજરને પાર પહોંચી છે.
કુલ મૃત્યુઆંક 9,761 પર પહોંચ્યો છે. જોકે રાજ્યમાં 43 હજાર 611 એક્ટિવ કેસ છે, જ્યારે 562 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાહતની વાત એ છે કે સાજા થવાનો દર વધીને 93.36 ટકાને પાર પહોંચ્યો છે.
રાજ્યના મહાનગરોની વાત કરીએ તો, પાછલા 24 કલાકમાં અમદાવાદમાં 348 નવા કેસ સાથે 7 દર્દીઓના મૃત્યુ થયા. સુરતમાં નવા 312 કેસ સાથે 2 દર્દીઓ કોરોના સામેનો જંગ હાર્યા, તો વડોદરામાં 480 નવા કેસ સાથે 3 દર્દીઓના મૃત્યુ થયા.
આ તરફ રાજકોટમાં 190 નવા કેસ સાથે 1 દર્દીનું મૃત્યુ થયું, તો જામનગરમાં 83 કેસ સાથે 2 દર્દીના મૃત્યુ થયા. મહેસાણા અને પાટણમાં 2-2 દર્દીના મૃત્યું થયા, તો 8 જિલ્લામાં એક-એક દર્દી કોરોના સામે હાર્યો.