
ચૂંટણીની ગરમા ગરમી વચ્ચે નિવેદનબાજીનો દોર ગરમાયો છે, ત્યારે ખેડામાં અમુલ ડેરીના ડિરેક્ટર વિપુલ પટેલનું એક અત્યંત ચર્ચાસ્પદ નિવેદન સામે આવ્યું છે. નળિયાદ એરિયા કોલેજીસ રિટાયર્ડ સ્ટાફ અસોસિએશનના રજત જયંતી મહોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલા વિપુલ પટેલે જાહેર સભામાં છાતી ઠોકીને કહ્યું કે તેમણે રાજકારણમાં રૂપિયા બનાવ્યા છે. તેમના આ ખુલ્લેઆમ સ્વીકારે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.
વિપુલ પટેલ રાજકારણ અને સહકારી ક્ષેત્ર બંનેમાં જાણીતું નામ છે. તેઓ ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ અને મહામંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. આ ઉપરાંત, તેઓ અમુલ ડેરીના પૂર્વ ચેરમેન અને હાલના ડિરેક્ટર પણ છે. આવા એક વરિષ્ઠ નેતા અને સહકારી અગ્રણી દ્વારા જાહેર મંચ પરથી કરાયેલું આ નિવેદન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે રાજનીતિની પારદર્શિતા અને નૈતિકતા અંગે ગંભીર સવાલો ઊભા કરી રહ્યું છે.
તેમના નિવેદન “કોઈ નેતા નહીં કે મેં રૂપિયા બનાવ્યા, હું છાતી ઠોકીને કહું છું મેં રૂપિયા બનાવ્યા રાજકારણમાં રૂપિયા બનાવ્યા” ને કારણે અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા છે. શું રાજનીતિ પ્રજાના કલ્યાણ અને સેવા કરવાને બદલે વ્યક્તિગત લાભ અને રૂપિયા કમાવવાનું માધ્યમ બની ગઈ છે? શું સત્તાનો ઉપયોગ લોક કલ્યાણને બદલે વ્યક્તિગત આર્થિક ઉન્નતિ માટે થઈ રહ્યો છે? આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રાજકારણમાં શુદ્ધતા અને પ્રમાણિકતાની વારંવાર વાત થતી હોય છે.
રાજકારણને હંમેશા લોકોની સેવા અને સમાજ કલ્યાણ માટેનું માધ્યમ માનવામાં આવે છે. આવા જાહેર મંચ પરથી કરાતા નિવેદનો રાજકારણની છબી પર નકારાત્મક અસર કરી શકે છે અને સામાન્ય લોકોનો રાજનીતિ પ્રત્યેનો વિશ્વાસ ડગમગાવી શકે છે. વિપુલ પટેલના આ નિવેદનને કારણે માત્ર ખેડા જિલ્લામાં જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના રાજકીય ગલિયારામાં ચર્ચાએ જોર પકડ્યું છે. આવા નિવેદનો ભવિષ્યમાં રાજકીય નેતાઓ માટે કઈ રીતે પડકારરૂપ બની શકે છે તે જોવું રહ્યું.
Breaking News: મલ્લિકાર્જુન ખરગેએ સમગ્ર ગુજરાતીઓનું કર્યુ અપમાન,જુઓ video
Published On - 7:31 pm, Sun, 5 April 26