કચ્છ જિલ્લામાં સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરી” દ્વારા પશુપાલકોને સંગઠિત કરી અને ડેરી ક્ષેત્રે પશુપાલકો દૂધ ઉત્પાદકોને આત્મનિર્ભર બનાવી અને પશુપાલન વ્યવસાય થકી દૂધ ઉત્પાદકોને નિયમિત દર પંદર દિવસે આવક મળતી થઈ છે. ડેરી ક્ષેત્રે સરહદ ડેરી દ્વારા પશુપાલકોને આત્મનિર્ભર બનાવ્યા બાદ ખેતી અને પશુપાલન બાદ ખેડૂતો અને પશુપાલકોની આવકના ત્રીજા પર્યાય એવા મધ ઉત્પાદન ક્ષેત્રે અને વધારાની આવક મળી રહે તે હેતુ આધુનિક પધ્ધતિથી મધ ઉત્પાદન, કલેક્શન વગેરેની સમજણ આપવા માટે ભારત સરકારના નેશનલ બી બોર્ડ અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના સહયોગથી ૭ દિવસીય તાલીમનું સફળતા પૂર્વક ૨ બેચનું આયોજન કરવામાં આવ્યું છે.
આ 7 દિવસીય તાલીમમાં કચ્છ જિલ્લાના અલગ અલગ વિસ્તારના 52 મધ ઉછેરકોએ ભાગ લીધો હતો. આ તાલીમ વર્ગમાં મધ ઉછેરકોને મુખ્યત્વે ગુજરાતમાં મધમાખીના ઉછેર માટેની તાલીમ સુવિધાનો અભાવ, અપ્રાપ્ય બી લોકોની તાલીમાર્થીઓને ટેકો આપવાની પદ્ધતિ જાળવણીમાં પડતી મુશ્કેલીઓ, મધમાખી વિષેની ખોટી પૂર્વધારણા, ભાષાકીય અવરોધ અને મૂડીરોકાણની અછત જેવા અનેક પડકારો સામે કઇ રીતે લડી અને આ સમસ્યાઓ સામે ટકી અને મધ પાલન વિશેની સમજણ આપવામાં આવી છે.
આ બાબતે અમૂલ (GCMMF)ના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બનાવવા માટે કટિબધ્ધ છે. જે અન્વયે જુદા જુદા કાર્યક્રમ મારફતે લોકોને જાગૃતતા લાવી અને આવકના શ્રોત વધારવા માટે મદદ કરે છે જે બાબતે ખેતીને પશુપાલન બાદ ગ્રામીણ અર્થતંત્રમાં મધ પાલન અને ઉછેરનો બહુ મોટો ફાળો રહેલ છે અને બીજી રીતે કહીએ તો મધમાખી ખરેખર ખેડૂતોની મિત્ર છે જેનું પાલન કરી અને ખેડૂતો અને પશુપાલકો મધના ઉત્પાદન થકી વધારાની આવક મેળવી શકે છે.
હાલમાં પણ મધનું ઉત્પાદન અને વેચાણ થાય છે પરંતુ બહુ નાના પાયે અને અસંગઠીત રીતે તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા અસંગઠિત મધ પાલકોને અમૂલના સંગઠિત માળખા હેઠળ લાવી અને વધુ આવક મળી રહે તે દિશામાં કામગીરી કરવા અનુરોધ કર્યો છે. જે અન્વયે સરહદ ડેરી દ્વારા આ બાબતે પહેલ કરવામાં આવી છે. કુલ 52 મઘ ઉત્પાદકોને 2 બેચમાં પ્રથમ ચાંદરાણી સરહદ ડેરીના પ્લાન્ટ અને બીજી ખારેક સંશોધન કેન્દ્ર – કુકમાં ખાતે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં સરહદ ડેરીમાંથી મધ વિભાગના વડા અનિલ મહેતાએ જણાવ્યું હતું આ તાલીમ કાર્યક્રમમાં જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા મધ બાબતની સમજણ આપવામાં આવી છે.
કચ્છનાં ખેડૂતમિત્રોને આધુનિક કૃષિ ટેકનોલોજી અને વૈજ્ઞાનિક પદ્ધતિઓની મધમાખી ઉછેર કરી શકે, એવા આશય સાથે પ્રત્યક્ષ મુલાકાત લઇ માર્ગદર્શન અને ઉત્તમ જાણકારી મેળવી શકે અને પોતાના કૃષિ અને દૂધ ઉત્પાદનમાં મુલ્યવૃધ્ધી કરી વધુ આવક મેળવી શકે, સરહદ ડેરીના મધ વિભાગ દ્વારા સમગ્ર આયોજનમાં ખેડૂતમિત્રો માટે સહયોગ તથા માર્ગદર્શક તરીકેની મુખ્ય જવાબદારી નિભાવી હતી. કચ્છમાં વનવિભાગ દ્રારા દેશી મધ ઉત્પાદકો પાસેથી મોટી માત્રામાં મધ ખરીદવામાં આવે છે. પંરતુ તેના ઉછેર થતી કઇ રીતે આત્મનિર્ભર બનાય તે માટે હવે સરહદ ડેરીએ પ્રયાસ હાથ ધર્યા છે.