સામખીયાળી ગામે બે દિવસ પહેલા થયેલ એક યુવાનની હત્યા મામલે હત્યા કરનાર અંતે પોલીસની ઝડપમાં આવી ગયો છે. બે દિવસ પહેલા છરી લાગવાથી ઈજાગ્રસ્ત બનેલા યુવાનને સામખીયાળી સારવાર માટે ખસેડાયો હતો. પંરતુ યોગ્ય સારવાર પહેલા જ યુવકનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. શરીરમાં છરીના અસંખ્ય ઘાના પગલે યુવાન મોત સામે હારી ગયો હતો, જે મામલે તપાસ બાદ ગાંધીધામ રેલ્વે પોલીસ (Gandhidham Railway Police) દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ આરોપી અન્ય કોઈ નહીં, પરંતુ મૃત્યુ પામનારનો ખાસ મિત્ર હોવાનું સામે આવ્યુ છે. રેલ્વે પોલીસે આરોપીને રાપર નજીક આવેલા તેના ગામ પાસેથી ઝડપી પાડ્યો હતો.
હત્યામાં ભોગ બનનાર યુવક દિપક નરશી કોલી સમી તાલુકાનો રહેવાસી છે, જ્યારે હત્યા કરનાર યુવક રાપર તાલુકાની સોમાણીવાંઢનો રહેવાસી છે. અજય અને દિપક ખાસ મિત્રો હતા, તેમજ જુનાગઢ વિસ્તારમાં સાથે કામ પણ કરતા હતા. જો કે હત્યાના દિવસે દિપક અને અજય કોઈ કામસર મળ્યા હતા. જેમાં અજય દિપકને રસ્તો બતાવવાના બહાને સામખીયાળી સુધી લાવ્યો હતો અને ત્યાર બાદ 30 થી વધુ છરીના ઘા મારી દિપકની હત્યા કરી નાંખી હતી.
ભોગ બનનારે તેના પરિવારને આ અંગે જાણ કરી હતી પરંતુ વધુ સારવાર મેળવે એ પહેલા તે મોતને ભેટ્યો હતો આજે રેલ્વે પોલિસે હત્યા કરનાર અજય કોલીની ધરપકડ કરી છે અને તેની પુછપરછમાં અજયની પત્ની સાથે દિપકને આડાસંબધ હોવાની શંકાએ આ હત્યા કરી હોવાની કબુલાત કરી છે. રેલ્વે પોલિસે અટલ-અલગ ટીમો બનાવી આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા જે તપાસ દરમ્યાન બે દિવસે હત્યારો મિત્ર પોલિસના હાથે લાગ્યો છે.
દિપક અને અજય ઘણા લાંબા સમયથી મિત્ર છે. દિપકના ભાઇ સહિત તમામને એકમેકના ઘરે જવાનો પણ વ્યવહાર હતો પરંતુ મિત્રતા વચ્ચે આડાસબંધોની શંકા આવી અને અજયએ દિપક ને મિત્રતા ખાતર એકાંતમાં બોલાવી તેની હત્યા નિપજાવી નાંખી. આ બનાવ રેલ્વે પોલિસની હદ્દમાં બન્યો હોય રેલ્વે પોલિસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, કચ્છ જીલ્લામાં એક મહીના અગાઉ એક આધેડની હત્યાનો મામલો પણ સામે આવ્યો હતો. જેમાં પોલીસે એક વ્યકિતની ધરપકડ કરી હતી. જેમાં લુટના ઈરાદે હત્યા કરવામાં આવી હતી.