દુધઇ સબબ્રાન્ચ કેનાલની અધૂરી કામગીરી મુદ્દે સરકારને 9 મે સુધીનુ અલ્ટીમેટમ આપ્યા બાદ સરકારે કોઇ જાહેરાત ખેડૂતોની માંગણી સંદર્ભે ન કરતા આજે ખેડૂતોએ (Farmers Protest) કલેકટર કચેરી સામે અચોક્કસ મુદ્દતના ધરણા શરૂ કર્યા છે. અગાઉ આ મામલે વિશાળ ખેડૂત સંમેલન યોજવા સાથે ટ્રેક્ટર યાત્રા યોજી ખેડૂતોએ વિરોધ કર્યો હતો. કચ્છની (Kutch News) દુધઇથી મોડકુબા અને રૂદ્ર્માતા એેમ બે કેનાલ માટે સરકારે યોજના બનાવ્યા બાદ કેનાલના બદલે લાઇન નાંખવાનુ નક્કી કર્યુ હતુ જે સદંર્ભે ખેડૂતો છેલ્લા અઢી વર્ષથી રજુઆત કરી રહ્યા છે. વિરોધ નોંધાવી કેનાલ મારફતે પાણી પહોંચાડવા માગ કરી હતી પરંતુ સરકારે હજુ સુધી કોઇ જાહેરાત ન કરતા ખેડૂતોએ આજે લડી લેવાના મુડમાં ધરણા શરૂ કર્યા છે.
ટપ્પરથી રૂદ્રમાતા કેનાલમાં બે વર્ષ પહેલાં સરકાર દ્વારા અચાનક કેનાલના બદલે પાઇપ લાઇન પાથરવાનો નિર્ણય લેવાયો હતો. સરકારના આ નિર્ણયથી આ વિસ્તારના લોકોમાં ભારે રોષ ફેલાયો હતો કારણ કે, દુધઇ સબ બ્રાન્ચ કેનાલ 68 કિ.મી. જેટલી લંબાઇ ધરાવે છે તેમાં નિયમિત પાણીના 23 કિ.મી. કામો થઇ ગયા છે, જ્યારે બાકીના 45 કિ.મી.ના કામ બાકી છે. નર્મદા નિગમ દ્વારા તેનો સર્વે પણ કરાઇ ગયો છે તેમજ એસ્ટીમેટ પણ બનુ ગયુ છે.
ખેડૂતો પણ જમીન આપવા સરકારના નીતિ નિયમો મુજબ તૈયાર છે પરંતુ સરકારે 45 કિ.મી. વિસ્તારમાં કેનાલના બદલે લાઇન નાંખવાનુ નક્કી કરતા ભવિષ્યમાં પાણીની મોટી મુશ્કેલી ઉભી થવાની ચિંતા સાથે ખેતી અને પશુપાલનને મોટુ નુકશાન જશે તેવી ચિંતા છે. ત્યારે આજે ધરણા સાથે આવતીકાલે 10,000 ખેડૂતો કચ્છભરમાંથી ધરણામાં જોડાઇ વિરોધ કરશે તેવો દાવો કિશાનસંઘે કરી ન્યાય ન મળે ત્યા સુધી લડી લેવાની ચીમકી ઉચ્ચારી છે.
કચ્છના ખેડૂતો છેલ્લા બે વર્ષથી કચ્છમાં નર્મદા મુદ્દે સરકાર પાસે અસરકારક રજુઆતો સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે પરંતુ યોગ્ય કાર્યવાહી ન થતા ફરી ખેડૂતોએ લડતનો માર્ગ અપનાવ્યો છે. પહેલા ટ્રેક્ટર યાત્રા બાદ આજે સરકારને આપેલા અલ્ટીમેટમ મુજબ ખેડૂતોએ અચોક્કસ મુદ્દતના ધરણા કલેકટર કચેરી સામે શરૂ કર્યા છે અને ન્યાય ન મળે ત્યા સુધી લડતની ચીમકી ઉચ્ચારી છે. જેમાં ચુંટણીમાં બહિષ્કાર સહિત ગાંધીનગર કુચ કરવાની પણ ખેડૂતોની તૈયારી છે જેમાં સ્થાનીક ખેડૂતો સાથે પ્રદેશ કિસાનસંઘ પણ લડતને મુજબુત બનાવશે.
Published On - 8:20 pm, Thu, 12 May 22