મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પશુધનમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળેલા લમ્પી સ્કીન ડિસીઝથી અસરગ્રસ્ત કચ્છ જિલ્લાની આજે મુલાકાતે પહોંચ્યા હતા. કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ પણ તેમની સાથે મુલાકાતમાં જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendr Patel) ભુજના કોડકી રોડ ખાતેના લમ્પી(Lumpy) આઈસોલેશન સેન્ટર અને સુખપર ગૌરક્ષણ સંસ્થા-પશુ રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમજ પશુધનને અપાઈ રહેલી સારવાર-સંભાળની જાણકારી મેળવી હતી. લમ્પી રોગથી અસરગ્રસ્ત પશુઓને અલાયદા રાખવા માટેના આઈસોલેશન સેન્ટરમાં પશુઓ અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરીને વિગતે માહિતી મેળવ્યા બાદ તેઓએ અધિકારીને જરૂરી સુચનો કર્યા હતા.
સરકાર અને સંસ્થાઓએ ઉભી કરેલી વ્યવસ્થા જોયા બાદ એક કલાક કરતા વધુ સમય તેઓએ કલેકટર કચેરી ખાતે લમ્પી સ્કીન ડિસીસ (Lumpy Skin Desease) વાયરસ અંગે જિલ્લા પદાધિકારીઓ અને વહીવટીતંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ લમ્પી રોગની પ્રવર્તમાન પરિસ્થિતિ અને સઘન કામગીરીની વિગતે માહિતી રજૂ કરી હતી.
કચ્છ જિલ્લામાં 38,141 પશુઓ લમ્પી સ્કીન ડિસીઝથી અસરગ્રસ્ત થયેલા છે. કચ્છમાં કુલ 585 ગામોમાં પશુઓમાં લમ્પીના લક્ષણો દેખાયા છે. આવા અસરગ્રસ્ત પશુઓને ક્વોરેન્ટાઈન કરીને આઈસોલેશનમાં રાખવા માટે જિલ્લાના 10 તાલુકાઓમાં 26 જેટલા આઈસોલેશન સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. જિલ્લામાં લમ્પી રોગને વધુ ફેલાતો અટકાવવા અત્યાર સુધી 2.26 લાખથી વધુ પશુઓનું રસીકરણ પશુપાલન વિભાગ અને જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લામાં 1,190 જેટલા પશુઓ મોતને ભેટ્યા છે. બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા રાઘવજી પટેલે કચ્છ સૌથી વધુ અસરગ્રસ્ત હોવાનું જણાવી તંત્રને જરૂરી સુચન સાથે ઝડપથી કાબુમાં લેવા માટેના સુચનો કર્યા હોવાનું જણાવ્યુ હતુ. કચ્છ DDO એ 3 લાખ કરતા વધુ પશુઓને હજુ વેક્સીન આપવાનું લક્ષ્યાંક હોવાનું બેઠકમાં મુખ્યમંત્રીને જણાવ્યુ હતુ.
સમગ્ર રાજ્યમાં જે 20 જિલ્લાઓના પશુધનમાં આ રોગચાળો જોવા મળ્યો છે, તે જિલ્લાઓમાં અત્યાર સુધીમાં 10 લાખ 6 હજારથી વધુ નિરોગી પશુઓનું રસીકરણ થયું છે. પશુધનમાં આ લમ્પી સ્કીન ડિસીઝની સારવાર અને રસીકરણ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા 222 પશુચિકિત્સા અધિકારીઓ, 713 પશુધન નિરીક્ષકો સઘન સર્વે, સારવાર અને રસીકરણની કામગીરીમાં જોડાયા છે. સાથે રાજ્યની વેટરનરી કોલેજના સ્નાતક, અનુસ્નાતક અને અધ્યાપકો મળીને 107 સભ્યો કચ્છ ઉપરાંત જામનગર, દેવભૂમિ-દ્વારકા અને બનાસકાંઠામાં સરકારે કામગીરી માટે ફાળવ્યા છે.
કચ્છમાં 175 લોકોને લમ્પીની સારવાર માટે સરકારે મોકલ્યા છે. મુખ્યમંત્રીએ જિલ્લાના પશુઓમાં આ લમ્પી સ્કિન ડિસીઝ વધુ ન ફેલાય તે માટે રોગ ફેલાવતા કીટકોના નિયંત્રણ માટેના પગલાં અને ઉપાયો વધુ સઘન બનાવવા સૂચન કર્યું હતું. સાથે કચ્છમાં મૃત પશુઓનો યોગ્ય નિકાલ ન થતો હોવાથી વૈજ્ઞાનિક ઢબે નિકાલ થાય તેની તકેદારી રાખવા જિલ્લાના અધિકારીઓને તાકીદ કરી હતી. જો કે બેઠક બાદ સહાય કે અન્ય કોઈ મહત્વની જાહેરાત મુખ્યમંત્રી કે પશુપાલન વિભાગ દ્વારા કરાઈ ન હતી.
મુખ્યમંત્રીની મુલાકાત દરમ્યાન કૃષી અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ કૃષિ કલ્યાણ, સહકાર અને પશુપાલન વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી અને પશુપાલન નિયામક ડૉ.ફાલ્ગુની ઠાકર તથા કચ્છના ધારાસભ્યો અને વહીવટી તંત્રના અધિકારીઓ જોડાયા હતા.