પહેલા ખેડૂતો ચોમાસાની (Monsoon) રાહ જોતા હતા, પરંતુ હવે વધારે વરસાદ બાદ ખેડૂતોની સ્થિતિ વધુ કફોડી બની છે જે ખેડૂતોએ મગફળીના (Groung nut) પાકની વાવણી કરી હતી, તેઓ હવે ચિંતામાં સરી પડ્યા છે કારણ કે મગફળીના પાકમાં મુંડા (સતત વરસાદને કારણે મગફળીમાં થતી જીવાત) નામના રોગે દેખા દીધી છે. આ ચોમાસામાં ખેડૂતોની દશા દિનપ્રતિદિન બગડતી જઈ રહી છે. વધુ વરસાદની નુકસાનીમાંથી માંડ માંડ ખેડૂત બેઠા થયા ત્યારે વધુ પાછી એક મુસીબત આંગણે આવીને ઊભી રહી ગઈ છે.
જુનાગઢ (Junagadh) જિલ્લામાં મગફળીના પાકમાં મુંડા નામના રોગે પગ પેસારો કરતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વિસાવદર તાલુકાના છાલડા ગામમાં 3,500 વીઘાની અંદર મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. છેલ્લા 20 દિવસથી જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને અતિવૃષ્ટિને કારણે ખેડૂતોનો ઘણો પાક નિષ્ફળ ગયો છે. સાથે મગફળીમાં મુંડા નામનો રોગ પણ આવી ગયો છે. આખા ગામમાં કરવામાં આવેલું મગફળીનું વાવેતર મોટેભાગે નિષ્ફળ જાય તેવું ખેડૂતોને લાગી રહ્યું છે.
બેસતા એટલે કે મુંડા નામના રોગને કારણે પાક બગડ્યો છે. ખેડૂતોએ 1200 હેક્ટરમાં મગફળીનું વાવેતર કર્યું હતું. જેમાં રોગ દેખાતા મગફળી અંગે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કેમકે ચોમાસાની ઋતુ ચાલુ છે ત્યારે હવે નવી વાવણીની પણ શક્યતા ઓછી દેખાઈ રહી છે. ખેડૂતોએ રાજકીય આગેવાનો પાસે આ અંગે ઘણી રજૂઆત કરી છે. હવે તેઓ માંગ કરી રહ્યા છે કે તેમની નુક્સાનીનો સર્વે થાય અને તેમને કંઇક સહાય મળે જેથી ખેડૂતો નુક્સાનીમાંથી બેઠા થઈ શકે. નોંધનીય છે કે સરકાર દ્વારા 9 જિલ્લામાં નુક્સાનીનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે રાજ્યના 9 જિલ્લાનાં 2.42 લાખ હેક્ટરમાં પાક ધોવાઈ ગયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે 61 હજાર હેક્ટરમાં 33 ટકા કરતાં વધુ નુકસાન થયું છે. આ જિલ્લાઓમાં સહાય આપવા અંગે કૃષિ મંત્રીએ દરખાસ્ત રજૂ કરી છે.
સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાય સમયથી ભારે વરસાદ થયો છે તેને પરિણામે ખેતી પાકમાં વધારે પાણી પચી જતા હવે પાણીના ભરાવાથી કેટલાક પાકમાં કોહવાટ થઈ ગયો છે અને મગફળી સહિતના અન્ય ખેતી પાકને નુકસાન થઈ રહ્યું છે.
વિથ ઇનપુટ ક્રેડિટ: વિજયસિંહ પરમાર
Published On - 6:28 pm, Wed, 27 July 22