જૂનાગઢ શહેરમાં થોડાજ વરસાદથી તાજેતરમાં બનાવેલા રોડ તૂટી જતા સ્થાનિક વાહનચાલકો અને રાહદારીઓ તૂટેલા રોડના ખાડાથી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ મામલે મનપાની લાલીયાવાડી સામે આવી છે.
જૂનાગઢ મનપા દ્વારા 5 મહીના પહેલા બનાવેલા રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. શહેરના વંથલી દરવાજા ફાટક, જયશ્રી રોડ , તળાવ ગેટ રોડ , જવાહર રોડ, દાતાર રોડ સહીત અનેક રસ્તા પર મસમોટા ખાડા પડી જતા સ્થાનિક વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે અનેક વાર નાના મોટા અકસ્માત પણ જોવા મળે છે. રસ્તા પર ખાડા પડવાથી ટ્રાફીક સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે કરોડોના ખર્ચે બનેલા રોડ તૂટી જતા ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ થઇ રહયો છે.
જૂનાગઢ મનપાએ બનાવેલ રસ્તાઓની બીસ્માર હાલત થતા કોંગી ધારાસભ્ય ભીખાભાઇ જોશીએ પણ કમિશનર અને કલેકટરને પત્ર લખી રસ્તાની ગુણવતા મુદ્દે જવાબ માંગ્યો છે. અને કરોડોના ખર્ચે બનેલ રસ્તા ફરી બનાવીને લોકોને રોડની સારી સુવીધા મળે તેવી માંગ કરી છે.
ભાજપના કોર્પોરેટર અને વોટરવર્ક શાખાના ચેરમેન લલિત સુવાગિયાએ પણ જનરલ બોર્ડમાં ઉગ્ર રજુઆત કરી છેકે ચાર મહિના પહેલા બનેલા રોડ તૂટી જાય તો આ બાબતે જેણે પણ ગુણવત્તાની ચકાસણી કરી એનઓસી આપી હોય તેમના પર કાર્યવાહી થવી જોઈએ. આવા નબળા કામ કરનારા લોકોથી પક્ષ બદનામ થાય છે. જૂનાગઢને ડેવલોપ કરવા માટે રાજ્ય સરકાર ખૂબ મોટી ગ્રાન્ટ આપે છે. અને સરકારની લાગણી છે કે જૂનાગઢ યાત્રાધામ હોવાથી વિકાસ કરવો જરૂરી છે.
જૂનાગઢ શહેરમાં છેલ્લા 15 દિવસમાં વરસાદ પડતા રસ્તામાં ગાબડાં પડી જતા મનપા કમિશનર રાજેશ તન્નાએ જણાવ્યું કે હાલ જે રસ્તામાં ખાડા પડી ગયા છે. તેને ફરી બનાવામાં આવશે. પણ હાલ વરસાદની સીઝન શરૂ છે. જેના લીધે રોડ બનાવી શકાય તેમ નથી. બીજી તરફ શહેરમાં ભૂગર્ભ ગટરએ નર્મદા પાણીની પાઇપ લાઈન કામ થયું હતું.
ત્યારે ચાર લેયરમાં રોડ બનાવાની કામગીરી સોંપવામાં આવી છે. હજુ શહેરના તમામ રોડ ઉપર બે લેયરની કામગીરી કરવામાં આવી છે. વરસાદની સીઝન પૂર્ણ થશે કે તુરંત ફરીથી રોડ બનાવની કામગીરી હાથ ધરવામાં આવશે. જૂનાગઢ શહેરના તમામ રોડ 22 કરોડના ખર્ચે કરવામાં આવશે હાલ વન થર્ડ કામગીરી કરવામાં આવી છે.