અમદાવાદની શ્રેય હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં લાગેલી આગમાં કોરોનાના આઠ દર્દીઓના નિપજેલા મોત બાદ સમગ્ર બનાવની સંપૂર્ણ તપાસ માટે ગુજરાત સરકારે નિમેલા બે સનદી અધિકારીઓએ તેમનો અહેવાલ મુખ્યપ્રધાનને સોપી દીધો છે. આ અહેવાલ બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગના બનાવની તપાસ હાઈકોર્ટના નિવૃત ન્યાયાધીશના વડપણ હેઠળ કરવાનો નિર્ણય કર્યો છે. સાથોસાથ આ કિસ્સામાં જરૂરી પોલીસ ફરિયાદ કરવાનો પણ આદેશ કર્યો છે. સનદી અધિકારીઓએ સોપેલા રિપોર્ટમાં આગના કારણ અંગે જણાવ્યુ છે કે, પ્રાથમિક રીતે ઇલેક્ટ્રિકલ તબીબી ઉપકરણમાં આગ લાગવાથી આ ઘટના બનેલી છે. આ એક પ્રકારની એક્સિડેન્ટલ ફાયર છે. જે આશરે ત્રણ જ મિનિટમાં ICU વોર્ડમાં પ્રસરી ગઈ હતી.
શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની આ સમગ્ર ઘટનાક્રમની તપાસ માટે મુખ્યપ્રધાને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ અને શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરીની નિયુક્તિ કરી હતી. બન્ને સનદી અધિકારીઓએ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, એફએસએલ, ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર, અમદાવાદ ફાયર બ્રિગેડ તેમજ પોલીસની સમગ્રતયા કામગીરીના અહેવાલના આધારે 20 પાનાનો રિપોર્ટ મુખ્યપ્રધાનને સોપ્યો છે. જેમાં જણાવાયુ છે કે પ્રાથમિક રીતે ઇલેક્ટ્રિકલ તબીબી ઉપકરણમાં આગ લાગવાથી આ ઘટના બનેલી છે. આ એક પ્રકારની એક્સિડેન્ટલ ફાયર છે જે અંદાજે ત્રણ મિનિટમાં ICUમાં પ્રસરી ગઈ છે.
તપાસ અહેવાલ સોપાયા બાદ કોઈ પણ પ્રકારની ન્યાયિક બાબત છૂટી ન જાય કે કોઈપણ કસૂરવાર છટકી ન જાય અને સમગ્ર ઘટનાની ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ થાય તે માટે નિવૃત્ત હાઇકોર્ટ જજની અધ્યક્ષતામાં તપાસ પંચને જ્યુડિશિયલ ઇન્કવાયરી સોંપવાનો નિર્ણય કર્યો છે. આ ઘટના અંગે પોલીસ દ્વારા પણ ઝડપથી FIRની કાર્યવાહી કરવામાં આવે તેવા સ્પષ્ટ આદેશો પણ આજ રોજરાજ્ય સરકારે આપ્યા છે
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Published On - 4:55 pm, Mon, 10 August 20