Jamnagar: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હરિપર ગામે 176.89 કરોડના ખર્ચે સ્થપાયેલા 40 મેગાવોટ સોલાર પ્લાન્ટનું કરશે લોકાર્પણ
Jamnagar: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ઓક્ટોબરે જામનગર જિલ્લાની મુલાકાતે આવવાના છે. આ મુલાકાત દરમિયાન પીએમ હરિપર ગામે રૂ 176.89 કરોડના ખર્ચે સ્થપાયેલા 40 મેગાવોટ સોલાર પ્લાન્ટનું લોકાર્પણ કરશે. આ સાથે જિલ્લાના રૂ. 1462 કરોડના ખર્ચે 9 જેટલા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહુર્ત કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 10 ઓક્ટોબરે જામનગર (Jamnagar) આવશે. આ દરમિયાન પીએમ મોદી હરિપર ગામે રૂ. 176.89 કરોડના ખર્ચે તૈયાર થયેલા 40 મેગાવોટ ફોટો વોલ્ટીક ગ્રીડ કનેક્ટેડ સોલાર પ્લાન્ટ (Solar Plant) નું લોકાર્પણ કરશે, આ સાથે તેઓ રૂ. 1462 કરોડના વિવિધ 9 જેટલા પ્રકલ્પોના લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત કરશે. જેમાં ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લી. હસ્તકના રૂ. 176.89 કરોડના ખર્ચે નિર્માણ પામેલ 40 મેગાવોટ સોલાર પી.વી. (ફોટોવોલ્ટીક) પ્રોજેક્ટ પણ સામેલ છે.
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસીટી કોર્પોરેશન લિમિટેડ (GSECL) દ્વારા સરકારી ખરાબાની જમીન પર 40 મેગાવોટ ક્ષમતાની ફોટોવોલ્ટીક ગ્રીડ કનેક્ટેડ સૌર ઉર્જા આધારિત વીજ પરિયોજના જામનગર જિલ્લાના હરિપર ગામ ખાતે રૂ.176.89 કરોડના ખર્ચે કાર્યાન્વિત કરવામાં આવી છે. આ પરિયોજના અસમથળ અને વિવિધ કુદરતી નાળાઓ ધરાવતી જમીન પર માત્ર ત્રણ મહિનામાં ઈજનેરી મદદથી સફળતાપૂર્વક અમલમાં મુકવામાં આવેલ છે.
એક તરફ જ્યારે વધી રહેલા પ્રદૂષણ અને વધી રહેલી ઉર્જાની માંગે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ગુજરાતમાં સુર્યના કિરણોથી વિકાસને વેગ આપવા હરિત ઉર્જાનો થયો સંચાર થયો છે. જી.એસ.ઈ.સી.એલ. (GSECL) દ્વારા જામનગરના હરીપર ગામની સરકારી ખરાબાની પથરાળ જમીન પર 40 મેગાવોટ ફોટોવોલ્ટીક ગ્રીડ કનેક્ટેડ સોલાર પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે જેના થકી પ્રતિ વર્ષ 105.765 મિલિયન યુનિટનું ઉત્પાદન થશે. સાથે જ 84.61 મેટ્રીક ટન કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં પણ ઘટાડો થશે.
વડાપ્રધાન જામનગર ખાતે સૌની યોજના લિંક-1 પેકેજ-5 અને લિંક-3 પેકેજ-7નું લોકાર્પણ કરશે
વડાપ્રધાન મોદી જામનગર ખાતે સૌની યોજનાલિંક-1 પેકેજ-5 અને લિંક-3 પેકેજ-7નું લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કર્તવ્યનિષ્ઠ સરકાર વિકાસલક્ષી અને પ્રજાલક્ષી કાર્યો થકી જનતાના જીવનમાં સુખ-સુવિધાઓ વધારવા માટે સતત પ્રયત્નશીલ છે, જેનો વધુ એક પુરાવો એટલે સૌની યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ કરશે.
સૌની યોજનાના બીજા તબક્કામાં લિંક-1ના પેકેજ-5ના લોકાર્પણ થકી કુલ રૂ.314.69 કરોડના ખર્ચે 66 કિમી લાંબી પાઇપલાઇન દ્વારા લાલપુર તાલુકાના પીપરટોડા ગામ પાસે નિર્મિત પંપિંગ સ્ટેશન ખાતે 7 પંપ દ્વારા અને ખંભાળિયા તાલુકાના સિદ્ધપુર ગામ પાસે નિર્મિત ફીડર પંપિંગ સ્ટેશન ખાતે 4 પંપ દ્વારા જામનગર જિલ્લાના 5 અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 5 એમ કુલ 10 જળાશયો પાણીથી છલકાશે.
આ પૈકી જામનગર જિલ્લાના 2 અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 3 એમ કુલ 5 જળાશયો થકી પીવાનું પાણી પણ આપવામાં આવે છે. જેનાથી જામનગર જિલ્લાના લાલપુર અને જામનગર તાલુકાના અંદાજિત 32 ગામોના 21,061 એકર વિસ્તારમાં તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના અંદાજિત 23 ગામોના 10,782 એકર વિસ્તારમાં સિંચાઈ અને પીવાના પાણીની સુવિધાનો લાભ મળશે. તેનાથી એકંદરે 65,000થી પણ વધુ લોકોને ફાયદો થશે અને આસપાસના કુલ 31,843 એકર વિસ્તારને સિંચાઇ અને પીવાના પાણી માટેની પર્યાપ્ત સુવિધા મળતા હરિયાળી સમૃદ્ધિના પગરણ મંડાશે.