JAMNAGAR: કોરોનાની ત્રીજી લહેર આવે તો દર્દીઓ ઓછા પરેશાન થાય તેમજ કોઈ દર્દીના મૃત્યુ ના થાય તે માટેના પ્રયાસો હાલથી જ શરૂ કરવામાં આવ્યા છે. જામનગરની સેવાકીય સંસ્થા દ્વારા ત્રીજી લહેર આવે તે પહેલા તેની સામેની લડાઈની તૈયારી શરૂ કરી દીધી છે.
કોરોનાની બીજી લહેરમાં દર્દીઓએ ઓક્સિજન કે અન્ય વ્યવસ્થા માટે ઘણી મુશકેલી અનુભવી હતી. તેમજ વ્યવસ્થાના અભાવે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. કોરોનાની સંભવત ત્રીજી લહેરની શરૂઆત થાય તે પહેલા જ જામનગરના યુવાનોએ કોરોના સામેની લડાઈ માટેની તૈયારીઓ શરૂ કરી છે.
કોરોનાના પ્રાથમિક લક્ષણો જોવા મળે તો ત્વરીત જ સારવાર લેવી જરૂરી છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક કારણોસર લોકો સારવાર લઈ શકતા નથી કે લેતા નથી. તેવા લોકો માટે ટેકનોલોજીની મદદથી તેમને મદદરૂપ થવાનો પ્રયાસ શરૂ કર્યો છે.
સંસ્થાના 50 જેટલા યુવાનો દ્વારા 10થી વધુ ટીમ બનાવીને જામનગરના દરેક ગામમાં પ્રવાસ કરી ત્યાંના આગેવાન, સરપંચ અને યુવાનોને જાગૃત કરે છે. સાથે તેમને પોતાની લડાઈમાં સામેલ થવા અપીલ કરે છે. જામનગરની સ્વયંશકિત પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટના યુવાનો દ્વારા જામનગરના આશરે 400 જેટલા ગામડાઓમાં કામગીરી હાથ ધરશે. જેની શરૂઆત કરી દેવામાં આવી છે.
ગામના સરપંચ, તલાટી, આશાવર્કર, યુવાનો, તેમજ સ્વયંસેવકને સાથે રાખીને કોરોનાની ત્રીજી લહેરમાં સાવચેત રહેવા અપીલ કરવામાં આવે છે. સાથે ગામમાં કોઈ વ્યકિતને સામાન્ય લક્ષણ પણ હોય તેમની કાળજી લેવી તેમજ દિવસમાં ત્રણ વાર વ્યકિતનું તાપમાન, બીપી, ડાયાબીટીસ, ઓક્સિજન લેવલના આંકડા મેળવી તેને સંસ્થાને મોકલાવાની ભલામણ કરી છે. જેથી સામાન્ય કિસ્સાઓમાં તેમને નિષ્ણાત તબીબો દ્વારા જરૂરી માર્ગદર્શન દવા વિશેની સમજુતી આપવામાં આવશે.
જામનગર જીલ્લામાં એક પાયલોટ પ્રોજેકટ તરીકે વોટસઅપ પર અનોખી સેવા કરી શરૂ કરી છે. જેમાં કોઈ પણ મેસેજ કરતાની સાથે કેટલાક સામાન્ય સવાલોના જવાબ આપતા સામાન્ય લક્ષણો જણાતા તેની દવા અને માર્ગદર્શન મોબાઈલ પર ગણતરીની મીનીટમાં મળી જશે. ઓટો રીપોન્સડર સીસ્ટમ તૈયાર કરી છે. જેમાં ગુજરાતી ભાષામાં જ પુરતી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે.
કોઈ મુશ્કેલી સર્જાય અને બાદમાં કામગીરી થાય તો મોટો પડકાર બને છે, પરંતુ કોરોની ત્રીજી લહેર આવે તે પહેલા જ યુવાનોએ જહેમત ઉઠાવી લીધી છે. ઉલ્લેખનીય છે કે ગામડાઓને જાગૃત કરવાની કામગીરીની પ્રશંસા કરતા ગામજનો પણ આ સેવાયજ્ઞમાં જોડાયા છે. સ્વયંશકિત પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અગાઉ શહેરમાં ઘરે લોકોને સારવાર આપવાની સેવા કરવામાં આવી હતી. ત્રીજી લહેર પહેલા તેની સામેની લડાઈની તૈયારીઓ અત્યારથી જ પ્રાંરભ કર્યો છે.
આ પણ વાંચો: Gujarat Corona Update : રાજ્યમાં આજે કોરોનાના નવા 3 હજારથી ઓછા કેસ, એક્ટીવ કેસ 50 હજારથી ઓછા થયા
Published On - 9:55 pm, Thu, 27 May 21