જામનગરમાં OMICRONના વધુ 2 કેસ નોંધાયા, ગુજરાતમાં ઓમિક્રોન વેરીએન્ટના કુલ 3 કેસ થયા
OMICRON GUJARAT NEWS : જામનગરમાં અગાઉ જે દર્દી કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરીએન્ટથી સંક્રમિત થયા હતા તેના સંબંધી પણ ઓમિક્રોનથી સંકમિત થયા છે.
JAMNAGAR : ગુજરાતમાં કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરીએન્ટના વધુ બે કેસ નોંધાયા છે. જામનગરમાં એક કેસ સામે આવ્યાં બાદ વધુ બે કેસ નોંધાયા છે. અગાઉ જે દર્દી કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરીએન્ટથી સંક્રમિત થયા હતા તેના સંબંધી પણ ઓમિક્રોનથી સંકમિત થયા છે. દર્દીનાં પત્ની અને સાળાને કોરોનાનું સંક્રમણ થયું છે. પુણેની વાયરોલોજી લેબમાં મોકલવામાં આવેલા સેમ્પલમાં સામે આવ્યું છે કે આ બંને દર્દીઓ ઓમિક્રોન વેરીએન્ટથી સંક્રમિત થયા છે.
ગુજરાતમાં કોરોના વાયરસના નવા વેરીએન્ટ ઓમિક્રોનનો એક જ કેસ નોંધાયો હતો. ઝિમ્બાબ્વેથી જામનગર શહેરમાં આવેલા 72 વર્ષીય વૃદ્ધને કોરોનાનું સંક્રમણ થયું હતું અને તેમના રિપોર્ટમાં ઓમિક્રોન વેરીએન્ટની પુષ્ટિ થઇ હતી. પ્રથમ કેસના આ દર્દીના 2 સંબંધીને પણ કોરોના થયો હતો. આ બંને દર્દી નવા ઓમિક્રોન વેરીએન્ટથી સંક્રમિત થયા છે કે કેમ તેની તપાસ માટે સેમ્પલ મોકલવામાં આવ્યાં હતા. આજે આ બંને દર્દીઓ પણ ઓમિક્રોન વેરીએન્ટથી સંક્રમિત થયાની પુષ્ટિ થતા ગુજરાતમાં આ વેરીએન્ટના કુલ કેસ 3 થયા છે.
ઉલ્લખેનીય છે કે રાજ્યમાં આજે 10 ડિસેમ્બરે ઓમિક્રોન વેરીએન્ટ અંગે જામનગરના આ સામાચાર ઉપરાંત એક સકારાત્મક સમાચાર પણ સામે આવ્યાં છે. ગુજરાતમાં વિદેશથી અને ખાસ કરીને હાઈરિસ્ક દેશોમાંથી આવેલા ત્રણ નાગરીકોના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યાં હતા, જેમાં સુરેન્દ્રનગરના એક અને વડોદરાના બે નાગરીકોનો સમાવેશ થાય છે.
હાઈરિસ્ક દેશમાંથી આવ્યાં હોવા ઉપરાંત કોરોના પોઝીટીવ આવતા આ નાગરિકો ઓમિક્રોન વેરીએન્ટથી સંક્રમિત છે કે નહીં તેની તપાસ માટે આ નાગરિકોના સેમ્પલ જીનોન સિક્વન્સ માટે મોકલવામાં આવ્યાં હતા. જે અંગે રાહતના સમાચાર સામે આવ્યાં છે કે આ નાગરિકો ઓમિક્રોન વેરીએન્ટથી સંક્રમિત નથી.
5 દિવસ પહેલા સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવ્યાં હતા કે આફ્રિકાથી લીંબડી આવેલા વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ છે. આફ્રિકાથી લીંબડી આવેલા આ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સુરેન્દ્રનગરના વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ વ્યક્તિના અન્ય પરિવારજનોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા, તેમજ આ યુવકને સંક્રમિત કરનાર કોરોના વાયરસનો નવો ઓમિક્રોન વેરીએન્ટ છે કે નહિ તેની તપાસ માટે વ્યક્તિના સેમ્પલ લઇ જીનોમ સિક્વન્સ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : BHAVNAGAR : ઉમરાળાના ઠોંડા ગામે પ્રાથમિક શાળા થઈ ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં