ગુજરાતમાં આમ આદમી પાર્ટીના CM પદના ચહેરા તરીકે ઇસુદાન ગઢવીના નામ પર મહોર
ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ CMના ચહેરા તરીકે ઇસુદાન ગઢવીના નામ ઉપર મહોર મારી છે. આજે અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે ત્યારે એક પત્રકાર પરિષદ દરમિયાન આ નામની ઘોષણા કરવામાં આવી હતી.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ CMના ચહેરા તરીકે ઇસુદાન ગઢવીના નામ ઉપર મહોર મારી છે. આજે અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે ત્યારે એક પત્રકાર પરિષદ દરમિયાન આ નામની ઘોષણા કરવામાં આવી હતી. ગુજરાત પ્રવાસના પહેલા દિવસે એટલે કે 4 નવેમ્બરે અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી છે.
પત્રકાર પરિષદમાં આપના સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે અમે ગુજરાતની જનતાનો મત જાણીને ઇસુદાન ગઢવીના નામ ઉપર પસંદગી ઉતારી છે. ઇસુદાન ગઢવીના નામની જાહેરાત બાદ પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનથી માંડીને ગોપાલ ઇટાલિયા તેમજ આપના કાર્યકર્તાઓએ ઇસુદાનને અભિનંદન પાઠવ્યા હતા. અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે અમે નાગરિકોને સોશિયલ મીડિયા દ્વારા સીએમ પદના ઉમેદવાર માટે મત વ્યક્ત કરવા માટે જણાવ્યું હતું કે ત્યારે અમારા પોલમાં કુલ 73 ટકા જનતાએ ઇસુદાનના નામને પસંદ કર્યું હતું. આથી અમે આમ આદમી પાર્ટીના સીએમ પદના ચહેરા તરીકે ઇસુદાન ગઢવીના નામ પર મહોર મારી છે. ઈસુદાન ગઢવીને અગાઉ આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રીય સહ-મહામંત્રીનું પદ આપેલું છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું ગુજરાતના ઇતિહાસમાં મહત્વનો દિવસ
અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદમાં કહયું હતું કે આજે ગુજરાતના ઈતિહાસ માટે મહત્વનો દિવસ છે. અમે લોકોની વચ્ચે જઈએ છીએ. 27 વર્ષ સુધી કોઈ વિકલ્પ નહોતો. આજે ગુજરાત પરિવર્તન તરફ જઈ રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સંબંધો હતા. આજે એક નવો વિકલ્પ મળ્યો છે.આમ આદમી પાર્ટી નવી પાર્ટી છે. નવું એન્જીન છે. અમે રૂમમાં બેસી નક્કી નથી કરતા કે સીએમ કોણ હશે. પંજાબમાં પણ સામાન્ય જનતાએ જ પોતાનો સીએમ પસંદ કર્યો હતો. અરવિંદ કેજરીવાલે એમ પણ કહ્યું હતું કે ગુજરાતના તમામ સરવે ખોટા પડશે અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે.
ઇસુદાન ગઢવીએ આ જવાબદારી સોપવા માટે માન્યો આભાર
ઇસુદાન ગઢવીએ સીએમ પદના ઉમેદવાર તરીકે નામ જાહેર થતા સૌનો આભાર માન્યો હતો. તેમણે ટ્વિટમાં કહ્યું હતું કે મારામાં વિશ્વાસ રાખો, મારા જેવા સામાન્ય માણસને આટલી મોટી જવાબદારી આપવા માટે હું આમ આદમી પાર્ટી, અરવિંદ કેજરીવાલ જી અને ખાસ કરીને ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર કહેવા માંગુ છું
मुझ पर विश्वास रख मेरे जैसे आम आदमी को इतनी बड़ी जिम्मेदारी सोपने के लिए में आम आदमी पार्टी, अरविन्द केजरीवाल जी और खास कर गुजरात की जनता को दिल से धन्यवाद कहना चाहता हु।
में वचन देता हू की जनता का सेवक बन सदैव लोकहित के काम करूंगा।
— Isudan Gadhvi (@isudan_gadhvi) November 4, 2022
કોણ છે ઇસુદાન ગઢવી ?
ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા છે. તેઓ ગુજરાતી મીડિયાના પત્રકાર હતા. તેઓ મૂળ સૌરાષ્ટ્રના છે અને ઉચ્ચ શિક્ષણ લેવા માટે તેઓ અમદાવાદમાં સ્થાયી થયા હતા અને ગુજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વના અભ્યાસ બાદ તેઓ ગુજરાતી ચેનલમાં જોડાયા હતા અને તેમની વિશેષ એન્કરિંગ સ્ટાઇલ સાથે કરેલો મહામંથન કાર્યક્રમ ગુજરાતમાં ખુબ લોકપ્રિય બન્યો હતો.