રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખામાં આજે અનોખા દ્રશ્યો જોવા મળ્યા. વેરા વસુલાત શાખામાં કોઠારિયા વિસ્તારમાં આવેલા હનુમાનજી મંદિરના પુજારી પોતાનો 1800 રૂપિયા જેટલો વેરો ભરવા માટે પરચુરણ લઇને આવ્યા હતા. જો કે વેરા વસુલાત શાખાના અધિકારીએ આ પરચુરણ સ્વીકારવાનો ઇન્કાર કરતા પુજારીએ વિરોધ કર્યો હતો.પુજારીની મિલકતનો 1800 રૂપિયા જેટલો વેરો આવ્યો હતો. જેની સામે તે 700 થી 800 રૂપિયાનું પરચૂરણ લઇને આવ્યો હતો. આ અંગેની જાણ મેયરને થતા મેયરે કર્મચારીઓને વેરા અંગે યોગ્ય કાર્યવાહી કરવાની સૂચના આપી હતી..
મંદિરની દાન પેટીમાં આવતા રૂપિયા જ આવકનું માધ્યમ-પુજારી
હનુમાનજી મંદિરના પુજારી હેમેન્દ્ર ભટ્ટે કહ્યું હતુ કે તેમની આવકનું માધ્યમ એક માત્ર મંદિરની દાન પેટીમાં આવતી રકમ છે. જેથી દાન પેટીમાં જે આવક થાય તે લઇને તેઓ વેરો ભરપાઇ કરવા આવે છે. 1800 રૂપિયાના વેરામાં 700થી 800 રૂપિયાનું પરચુરણ છે. પરંતુ અહીં વસૂલવાની ના પાડે છે. પુજારીએ સરકાર સામે સવાલ કર્યો હતો કે પરચુરણ એ ભારતીય ચલણ નથી,અને જો હોય તો મનપા શા માટે તેને લેવાની ના પાડે છે. ગત વર્ષે પણ તેઓએ પરચૂરણ રૂપિયા આપીને જ પોતાનો વેરો ભરપાય કર્યો હતો.।
પૂજારી પાસેથી પરચૂરણ લઇને હું વેરો ભરી આપીશ-મેયર
આ અંગે મેયર પ્રદિપ ડવે દખલગીરી કરી હતી. પ્રદિપ ડવે કહ્યું હતુ કે આ અંગે પુજારી સાથે તેઓ વાતચીત કરશે અને પુજારી પાસેથી પરચુરણ લઇને પોતે તેનો વેરો ભરપાય કરી આપશે. મેયરે વધુમાં કહ્યું હતુ કે સામાન્ય રીતે લોકો ઓનલાઇન અને નોટમાં વેરો ભરપાઇ કરવા માટે આવે છે. પરંતુ ન લેવાનો કોઇ સવાલ નથી. આવું ભવિષ્યમાં ન થાય તે માટે વેરા વસુલાત શાખામાં પણ સૂચના આપવામાં આવશે.
પુજારીના હોબાળાથી પોલીસે દખલગીરી કરવી પડી
વેરા વસુલાત શાખામાં પુજારી દ્વારા પરચુરણ આપવામાં આવ્યું. ત્યારે વેરા વસુલાત શાખાના અધિકારીઓ દ્વારા વેરાનો અસ્વિકાર કર્યો હતો. ત્યારે પુજારીએ હોબાળો મચાવ્યો હતો. જેથી લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. અને મિડીયા પણ ત્યાં પહોંચ્યું હતું. પરિસ્થિતિ એટલે અંશે પહોંચી હતી કે વેરા વસુલાત શાખાએ પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કર્યો અને પોલીસે ત્યાં આવીને દખલગીરી કરવી પડી અને પુજારીને સમજાવટ કરીને મામલો થાળે પડ્યો હતો.