અમરેલીના ચાંદગઢ ગામે 17 યુગલના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, પોલીસ દોડી આવતા 17 જાન લીલાતોરણેથી પાછી ફરી હતી. તેમજ જાનૈયા અને માંડવીયાઓએ ચાલતી પકડી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ચાંદગઢ ગામે 17 યુગલોના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, આયોજકે સમૂહલગ્નની પોલીસ પાસેથી મંજૂરી લીધી નહોતી. આથી પોલીસને જાણ થતા જ દોડી આવી હતી. પોલીસે આયોજક વિરૂદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. 17 વરરાજાના પરિવારજનો આજે સવારે જાન લઈને ચાંદગઢ ગામે પહોંચ્યા હતા. તેમજ માંડવીયા પક્ષે પણ પુરી તૈયારી કરી રાખી હતી. પરંતુ પોલીસ આવતા જ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
સમુહલગ્નમાં પોલીસની એન્ટ્રી થતા જ કેટલાક નવયુગલોએ ઘરે જઈને ફેરા ફરી લગ્નની વિધિ સંપન્ન કરી હતી. સમૂહલગ્નમાં જાનૈયા અને માંડવીયા બંને પક્ષોના થઈ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જો કે, પોલીસ આવતા જ સમૂહલગ્ન અટકાવવામાં આવ્યા હતા. આથી હજારોની સંખ્યામાં આવેલા લોકોની રસોઈ રઝળી પડી હતી. સમૂહલગ્નમાં સોશિયલ ડિસ્ટન્સના પણ ધજાગરા ઉડ્યા હતા. તેમજ મોટાભાગના લોકો માસ્ક પહેર્યા વગર જ જોવા મળ્યાં હતા. આ રીતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય અને કોરોના સંક્રમણ ફેલાય તો જવાબદારી કોની તેવો સવાલ લોકોમાં ઉઠ્યો છે. હાલ કોરોના મહામારીને કારણે સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડી લગ્નમાં પોલીસની મંજૂરી લેવી ફરજીયાત કરી છે. કોરોનાકાળમાં લગ્નમાં 100 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે,,જોકે સમુહ લગ્નનું આયોજન થતા જ પોલીસે ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી છે.
Published On - 9:47 am, Sat, 26 December 20