
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેજા હેઠળની ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રાજ્યની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (APMC)ના સુચારુ વહીવટ માટે બે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે રાજ્યની 09 APMCમાં ચૂંટણી યોજવા માટેની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. જ્યારે, વહીવટી કારણોસર અન્ય 15 APMCની મુદત લંબાવવામાં આવી છે.
આ સંદર્ભે વિગતવાર માહિતી આપતા કૃષિ અને સહકાર પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કૃષિ વિભાગ દ્વારા રાજ્યમાં જે બજાર સમિતિઓની મુદત પૂર્ણ થઈ છે, ત્યાં ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવાની નિયમોનુસારની કાર્યવાહી તાત્કાલિક ધોરણે હાથ ધરવા ‘ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર’ નિયામકને જાણ કરવામાં આવી છે. આ નિર્ણયથી સ્થાનિક સ્તરે ખેડૂત પ્રતિનિધિઓની પસંદગીનો માર્ગ વધુ મોકળો થયો છે.
ગુજરાત સરકારે લીધેલા મહત્વપૂર્ણ નિર્ણયના પરિણામે, ગુજરાતની નીચે દર્શાવેલ 09 બજાર સમિતિઓમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાશે.
જીતુ વાધાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યમાં હાલ ચાલી રહેલી મતદારયાદી સુધારણા (SIR)ની કામગીરીમાં રાજ્ય ચૂંટણી પંચના આદેશથી જિલ્લા રજિસ્ટ્રાર અને કચેરીનો સ્ટાફ વ્યસ્ત છે. આથી જે બજાર સમિતિઓની મુદત પૂર્ણ થઈ છે અથવા પૂર્ણ થવામાં છે, તેવી સમિતિઓમાં ચૂંટણીનું તાત્કાલિક આયોજન કરવું શક્ય ન હોવાથી 15 APMCને 06 મહિનાનો મુદત વધારો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ખેડા જિલ્લાની ઠાસરા અને ગળતેશ્વર, બનાસકાંઠાની દિયોદર, ભાભર અને ધાનેરા, જૂનાગઢ, અમદાવાદની ધોળકા અને બાવળા, મહેસાણાની બેચરાજી, પંચમહાલની શહેરા, છોટાઉદેપુરની નસવાડી અને છોટાઉદેપુર, સાબરકાંઠાની પ્રાંતિજ, બોટાદની ગઢડા તથા અમરેલીની ખાંભા બજાર સમિતિને જાહેરનામાની તારીખથી 06 મહિનાનો મુદત વધારો આપવામાં આવ્યો છે.
અત્રે નોંધનીય છે કે, રાજ્યની જે બજાર સમિતિઓની ચૂંટણી પ્રક્રિયા ન્યાયિક હુકમો કે અદાલતી ચુકાદાના આધારે હાથ ધરાયેલ હોય, તેવી સમિતિઓને આ મુદત વધારાનો લાભ મળશે નહીં.